એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન અને રાજકીય અને સામાજીક અગ્રણી પ્રકાશ પટેલે શિક્ષણ સિસ્ટમ મુદ્દે ચર્ચા કરી
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – શિક્ષણ અને સામાજિક સેવામાં અગ્રેસર એવા પ્રકાશ પટેલ જેમણે મહેસાણા, વિસનગર અને ઉત્તર ગુજરાત માટે એક વિશાળ શૈક્ષણિક સંકુલ સાકળચંદ પટેલ યુનિવર્સિટી આપી. આજે આ સંકુલ ઉત્તર ગુજરાતની ટોચની યુનિવર્સિટીમાં સ્થાન ધરાવે છે. ખાનગી ન્યુઝ ચેનલના એક કાર્યક્રમમાં એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન અને રાજકીય અને સામાજીક અગ્રણી પ્રકાશ પટેલે શિક્ષણ સિસ્ટમ મુદ્દે ચર્ચા કરી હતી અને હાલની આ સિસ્ટમમાં રહેલી કેટલીક ખામીઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ તે અંગે પણ પોતાના મંતવ્યો અને સૂચનો આપ્યા હતા.
એસ.કે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે કહ્યું કે, શિક્ષણ બાબતે ગુજરાતમાં ઉત્તર ગુજરાત હંમેશાં મોખરે રહ્યું છે. વિસનગરની વાત થાય ત્યારે સાકળચંદભાઈ પટેલનું નામ યાદ આવે. તેઓ પહેલા દેશનું વિચારતા હતા અને પછી પોતાનું વિચારતા હતા. આઝાદીના લડવૈયા તરીકે તેમણે જવાબદારી નિભાવી. જ્યારે, દેશ આઝાદ થયો ત્યારે તેમનો પહેલો પ્રશ્ન હતો કે આઝાદ દેશની પરિકલ્પના શું હોઈ શકે ? તેઓ દ્રઢપણે માનતા હતા કે કોઈ પણ દેશના ઘડતર માટે શિક્ષણ એ મુખ્ય પાયો હોય છે. આથી દેશની આઝાદી પહેલા જ વર્ષ 1942 માં તેમણે ઉત્તર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી. ત્યારથી અત્યાર સુધીમાં લાખો વિદ્યાર્થીઓએ અહીંથી સારું શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી પર છે.
પ્રકાશભાઈ પટેલે આગળ કહ્યું કે, આજના સમયે શિક્ષણમાં સારો ડેવલપમેન્ટ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતનો જે વિકાસ થયો તેણે રાજ્યને ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાવ્યું. તેમણે કહ્યું કે, 2024ની ચૂંટણીમાં દેશની જનતાએ નક્કી કર્યું છે કે ફરી એકવાર વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વ કરે. શિક્ષણ મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે, 2026 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ત્યારે આ લક્ષ્યમાં શિક્ષણનો મહત્ત્વનો ફાળો રહેશે. અમે વિદ્યાર્થીઓને સારા શિક્ષણ સાથે તેનું સારું ઘડતર થાય તેવા પ્રયાસ કરીએ છીએ. આ સાથે પ્રકાશભાઈ પટેલે કોરોના કાળ, ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટમાં મેડિકલ કોલેજ, યુનિવર્સિટી ડેવલપમેન્ટ, મહેસાણા રાજકારણ અને બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.