ગરવી તાકાત, સાબરકાંઠા તા. 17- હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સર્વત્ર વરસાદ નોંધાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. એને લઈને સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 મિમીથી 88 મિમી વરસાદ નોંધાયો હતો, એટલે કે સવા ઇંચથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 88 મિમી, તો સૌથી ઓછો વરસાદ તલોદમાં 29 મિમી નોંધાયો હતો. આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
અંબાજીમાં ગત રાતથી સતત મુશળધાર વરસાદ
બિપરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં વર્તાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં ગત મોડી રાતથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. એને લઇ સમગ્ર અંબાજી પાણી પાણી થઇ જવા પામ્યું છે. હાલ સુધી 3 ઇંચ જેટલો વરસાદ અંબાજીમાં ખાબક્યો છે અને હજી પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, આજે દિવસભર વરસાદ વરસી શકે છે. વરસાદને લઇને અંબાજીના જનજીવનમાં પણ અસર પડી રહી છે. અંબાજીનાં બજારો પણ આ વરસાદને લીધે બંધ જોવા મળ્યાં હતાં. દાંતા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદના લીધે દાંતા તાલુકામાં આવેલાં નદી-નાળાંમાં નવાં નિર જોવા મળી રહ્યાં છે. ત્યારે અંબાજી અને દાંતાના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયાં છે. યાત્રાધામ અંબાજીમાં મુખ્ય માર્ગો અને બજારના માર્ગો પર ભારે વરસાદને લીધે નદીની જેમ પાણી વહેતાં જોવા મળી રહ્યા છે. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને લીધે લોકોના જનજીવન પણ પ્રભાવિત થયા છે.
હવામાન વિભાગ દ્વારા અરવલ્લીમાં આજે રેડ એલર્ટ
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકથી ભારે પવન સાથે સાથે વરસાદની પણ ધમાકેદાર શરૂઆત થઈ હતી. એના કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી. મેઘરજ, ધનસુરા, મોડાસા, બાયડ તાલુકાઓમાં ભારે પવનના કારણે છાપરાં ઊડવાની ઘટનાઓ સામે આવી છે. વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ જોવા મળી છે. ત્યારે 24 કલાક દરમિયાન જિલ્લામાં ધમાકેદાર વરસાદ ચાલુ છે. જિલ્લામાં ખાસ કરીને મોડાસામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ધનસુરામાં પણ 2.5 ઇંચ વરસાદ, બાયડ અને ભિલોડામાં 1થી 1.5 ઇંચ અને માલપુર અને મેઘરજમાં પણ સરેરાશ વરસાદ નોંધાયો છે. આજે પણ અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું છે. ત્યારે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની પૂરેપૂરી શકયતા છે. ત્યારે 24 કલાકમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોને વાવણીલાયક વરસાદ થવાથી વાવેતરની તૈયારીઓમાં જોતરાયા છે.
સાંતલપુર પંથકમાં જળબંબાકારની સ્થિતિ
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંતલપુર તાલુકાના મઢુત્રા, રોઝુ, ગરામડી સહિતનાં ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અવિરત વરસાદને લઈ ગામનાં બજારોમાં પાણી ઘૂસ્યાં હતાં. સુસવાટા મારતા પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે બસ સ્ટેશન પર ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ હારીજમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પાટણ શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાયાં હતાં, જેને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાટણ ઉપરાંત સિદ્ધપુર, હારીજ રાધનપુર, સંતાલપુર સરસ્વતી સહિત વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
થરાદના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે તેમજ રસ્તાઓ પણ જળબંબાકાર થઇ ગયા છે. કેટલીક જગ્યાએ રસ્તા પર વીજ વાયર તેમજ કેબલના વાયરો રસ્તા પર તુટેલા નજરે પડી રહ્યા છે. ગત રાત્રીએ પણ ઘણા બધા લોકોએ શાળાઓમા આશ્રય મેળવ્યો હતો. શિવનગર પ્રાથમિક શાળામાં 80 જેટલા નાથબાવા પરિવારો રોકાયા હતા.