ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડુતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો
ખેતરમાં ઉગાડેલા અલગ અલગ કલરની સક્કરટેટી, પીળા કલરના તરબુચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં
ગરવી તાકાત, સુરેન્દ્રનગર તા. 05- સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડુતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો છે. તેઓએ અલગ કલરની સક્કરટેટી અને તરબુચનું સફળ વાવેતર કર્યું છે. આ વાવેતર થકી તેમણે લાખો રૂપિયાની કમાણી કરી છે. એટલુ જ નહિ, પંથકના અન્ય ખેડૂતોને પણ આ દિશામાં ખેતીક રવા માટે નવી રાહ ચીંધી છે. તેમણે પોતાના ખેતરમાં ઉગાડેલા પીળા તરબુચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડીયા પાકના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નારીચાણા ગામના ખેડુતે અંદાજે ૩૫ વિઘા જમીનમાં સક્કરટેટી અને તરબુચનું વાવેતર કર્યું છે.
આ ખેતરમાં ઉગાડેલા અલગ અલગ કલરની સક્કરટેટી તેમજ ખાસ કરીને પીળા કલરના તરબુચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સક્કરટેટી અને તરબુચની ખેતી દ્વારા આ ખેડુત એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયાની વર્ષે આવક મેળવે છે.
ઘઉ, કપાસ જેવા પરંપરાગત પાકમાં મોંઘા બીયારણ અને દવાના ખર્ચ બાદ પણ ખેડૂતોને પુરતુ ઉત્પાદન અને ભાવ નથી ત્યારે આવા રોકડીયા પાકના ઉત્પાદન થકી ખેડૂતોને સારી આવક પણ મળે છે. તેથી સહદેવભાઇ જોરૂભાઇથી પ્રેરાઈને અનેક લોકો આ ખેતી તરફ વળ્યાં છે. તેમના ખેતરમાં ઉગી નીકળતા અલગ પ્રકારના અંદરથી પીળા કલરના તરબુચ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.