ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે
નવી દિલ્હી તા. 05 – ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4435 નવા કેસ નોંધાયા છે. 25 સપ્ટેમ્બર 2022 પછી આ પ્રથમ વખત છે જ્યારે એક દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે. 25 સપ્ટેમ્બર 2022ના રોજ એક જ દિવસમાં કોરોનાના 4,777 નવા કેસ નોંધાયા હતા. ત્યારથી, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે.
દેશમાં કોવિડ-19ના 4435 નવા કેસ સાથે સક્રિય કેસની સંખ્યા 23 હજારને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના 23091 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત થયા છે, જે આ વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ 2023માં આ પ્રથમ વખત છે જ્યારે મૃત્યુઆંક ડબલ ડિઝીટને પાર કરી ગયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને કર્ણાટકમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાલમાં, દૈનિક પોઝિટિવિટી રેટ 3.38 ટકા છે.
દેશમાં રસીકરણ અભિયાન હેઠળ, છેલ્લા 24 કલાકમાં 1979 ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 95.21 કરોડ સેકન્ડ ડોઝ અને 22.86 કરોડ બૂસ્ટર ડોઝ પણ સામેલ છે. દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ 98.76 ટકા છે. અને સક્રિય કેસ 0.05 ટકા છે. આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2508 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4.41 કરોડ પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,31,086 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેની સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટનો આંકડો 92.21 કરોડ થઈ ગયો છે.