કમોસમી વરસાદથી 15 જીલ્લાના 64 તાલુકામાં 2785 ગામોમાં પાકને નાનુ મોટુ નુકશાન થયું હતું
સર્વેની વિગતો અનુસાર 42,210 હેકટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 06 – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 5 મીના બુધવારે કેબીનેટ (મંત્રીમંડળ)ની બેઠક યોજાઈ હતી જેમાં તાજેતરમાં રાજયના મોટાભાગનાં જીલ્લાઓમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઈ હતી જેનુ તારણ એ હતું કે ગુજરાતમાં માર્ચ માસ દરમ્યાન થયેલા કમોસમી વરસાદથી 15 જીલ્લાના 64 તાલુકામાં 2785 ગામોમાં પાકને નાનુ મોટુ નુકશાન થયું હતું.
જેના અનુસંધાને રાજય સરકારે પાક નુકશાનીના અહેવાલોના આધારે અસરગ્રસ્ત જીલ્લાઓમાં તાકીદનાં ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી છે. જૂનાગઢ, અમરેલી,કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા,ભાવનગર, અરવલ્લી, અને ભરૂચ જીલ્લામાં કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લામાં આંબાના પાકમાં નુકશાની અંગે થયેલી રજુઆતોને ધ્યાને રાખીને જીલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાકને નુકશાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા આ 15 જીલ્લાના કુલ 1,99,951 હેકટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે.
જેમાં ખેતી પાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121, હેકટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેકટર છે. સર્વેની વિગતો અનુસાર 42,210 હેકટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે. જેમાં 30,895 હેકટર ખેતી પાકોનો વિસ્તાર અને બાગાયતી ફળ પાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર 11,315 હેકટર છે. સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડના નિયમો પ્રમાણે રાજયમાં 33 ટકાથી વધુ નુકશાનગ્રસ્ત હોય તેવા ખેડુતોને રાજય સરકાર દ્વારા સહાય ચૂકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.