રાજકોટ શહેરમાં 20 હજાર તેમજ જિલ્લામાં 33 હજાર કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે
આ નિયમનો સસ્તા અનાજ એસોસિએશનના હોદેદારોએ વિરોધ દર્શાવ્યો છે
ગરવી તાકાત, મહેસાણા તા. 11 – સરકાર તરફથી રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની અંતિમ તક પણ જતી રહી છે. છેલ્લા 31 માર્ચ સુધી આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવવાની તારીખ આપવામાં આવી હતી. દેશભરમાં નકલી રેશન કાર્ડના કાંડને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે હવે જો તમે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક નહિ કરાવ્યુ હોય તો તમને પણ મફત અનાજ નહિ મળે. લિંક ન કરાવનારા ગુજરાતના હજારો પરિવારો માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાશન વિહોણા બન્યા છે. સૌરાષ્ટ્રભરમાં ગરીબોના ઘરમાં આ કારણે અનાજ પહોંચ્યુ નથી.
જો હવે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક નહિ હોય તો સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને અનાજ નહિ મળે. રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નહિ હોય તેવા હજારો પરિવારો અનાજ વિહોણા થયા છે. માર્ચની શરૂઆતમાં જ રેશન લેવાનો સમય આવ્યો છે, ત્યારે ગરીબોના ઘરના ડબ્બા ખાલીખમ થયા છે. 1 માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી કરાવેલ તેવા રેશનકાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે.
રાજકોટ શહેરમાં 20 હજાર તેમજ જિલ્લામાં 33 હજાર કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે. આ નિયમને કારણે રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારિકા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લામાં રહેતા ગરીબ પરિવારોને મોટી અસર થઈ છે. પરિવારમાંથી એક કે બે વ્યક્તિને આધારકાર્ડ ન હોય તો કાર્ડ બ્લોક કરી દેવાયું છે.
આ નિયમનો સસ્તા અનાજ એસોસિએશનના હોદેદારોએ વિરોધ દર્શાવ્યો છે. સરકાર તાત્કાલિક ગરીબોના હિતમાં નિર્ણય કરે તેવી એસોસિયેશન દ્વારા માંગ કરાઈ છે. ગરીબોને હેરાન ન કરી અનાજ આપવા માંગ કરી છે.