તમામ કલેકટરોને આ સુચના મોકલાતા મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસની સંયુકત ચકાસણી શરૂ થઇ
સરકારે ગેમ ઝોન, મોલ, થીયેટર, માર્કેટ, સ્કુલ, મંદિર, મસ્જિદ સહિતની જગ્યાઓ પર આ ફાયર એનઓસીની ચકાસણી કરવા આદેશ આપ્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સર્જાયેલા કરૂણ અગ્નિકાંડની ઘટનાના ઘેરા પડઘા પડવાનું સરકારમાં ચાલુ છે. ગઇકાલે રાજય સરકારે ગેમ ઝોન સહિતના જે જાહેર સ્થળોએ જયાં વધુ ભીડ થતી હોય, તેવા સ્થળોએ ફાયર એનઓસી ન હોય તો ગુના નોંધવા આદેશ કરી દીધા છે. તમામ કલેકટરોને આ સુચના મોકલાતા મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસની સંયુકત ચકાસણી શરૂ થઇ છે.
સરકારે ગેમ ઝોન, મોલ, થીયેટર, માર્કેટ, સ્કુલ, મંદિર, મસ્જિદ સહિતની જગ્યાઓ પર આ ફાયર એનઓસીની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. ર8 લોકોના મૃત્યુ બાદ સરકારે જેમની પાસે ફાયર એનઓસી ન હોય તેઓ સામે ગુનો દાખલ કરાવવા કલેકટરોને આદેશ આપતા આ અંગે જિલ્લા પોલીસ વડાઓને પણ સૂચના આપવામાં આવી છે. રાજકોટ જેવી દુર્ઘટનાનું રાજયમાં કયાંય પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહીના આદેશ આપ્યા છે.
રાજયમાં અગાઉ આગની અનેક ઘટનાઓ લોકો જીવતા ભૂંજાયા છે અને રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ હોઇ કોર્ટે પણ ફાયર સેફટીને લઈને સરકારની ઝાટકાણી કાઢી છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં 28 લોકોનાં મૃત્યુની ઘટના બાદ સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. જેને લઈને કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે.
જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ આપ્યા છે. આ હુકમના પગલે રાજકોટના 8 અને સુરતના પાંચ ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ કરીને પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે. જો કોઈ એકમ પાસે ફાયરની એનઓસી નહી હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ સૂચનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.