— ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ :
— અઠવાડિયાથી પાણી નહીં આવવાનો સ્થાનિકોનો આક્ષેપ,પાલિકામાં રજુઆત છતાં નિરાકરણ નહીં :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં પીવાના પાણીને લઇને બુમરાડ ઉઠવા પામી છે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી ન આવતું હોવાથી જનતાનગરના સલીમપુરા દરવાજા વિસ્તારના લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં જાણ કરવા છતાં પાણી ના આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર પાણી માટે બૂમરાડ ઉઠવા પામી છે. સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવતી હોય તેવા કિસ્સાઓ તો છે જ સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પણ પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. જેમાં પાલનપુર શહેરના જનતાનગરના સલીમપુરા દરવાજામાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ના આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.જેમાં સલીમપુરા દરવાજામાં પાણી ના આવતાં મહિલાઓ રોષે ભરાઈ હતી.જો કે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પાણી ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર