ગુજરાતના 2001ના ગોધરાકાંડની યાદ અપાવતી એક ઘટનામાં કેરળમાં બનતાં દહેશત
પોલીસે ઘટના સ્થળેથી પેટ્રોલ બોટલ તથા અન્ય જવલનશીલ પદાર્થ કબ્જે કર્યા
થિરુવન્તપુરમ તા. 03 – ગુજરાતના 2001ના ગોધરાકાંડની યાદ અપાવતી એક ઘટનામાં કેરળમાં રાત્રીના એક કોચમાં પેટ્રોલ છાંટીને આગ લગાવાતા 3 યાત્રીકો માર્યા ગયા હતા અને નવ અત્યંત ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોમાં એક નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસ આ ઘટનાને ત્રાસવાદી એંગલથી પણ તપાસી રહી છે.
પોલીસે ઘટના સ્થળેથી પેટ્રોલ બોટલ તથા અન્ય જવલનશીલ પદાર્થ કબ્જે કર્યા છે. આ ઘટના કોમીકાંડમાં બની હતી. જેમાં અલબુઝા-કુન્નુર એકઝીકયુટીવ એકસપ્રેસ ટ્રેનમાં એક વ્યક્તિએ કોચમાં અન્ય યાત્રીકો પર પેટ્રોલ જેવું જવલનશીલ પ્રવાહી છાંટયું હતું અને બાદમાં તેણે આગ લગાવી હતી. દોડતી ટ્રેનમાં જ આ ઘટના બની હતી. ગઈકાલે રાત્રીના 9.45 કલાકે ટ્રેન કોમીકાંડ શહેર પાર કરીને એક પુલ પાસે પહોચી તો એક યાત્રીકે પેટ્રોલ જેવા પદાર્થ ચારે તરફ છાંટીને ખુદ નાસી ગયો હતો.
ચાલુ ટ્રેનમાં આ પ્રકારે આગ લાગતો કોચમાં ચીસાચીસ થઈ હતી અને અનેક લોકો આગથી બચવા દોડતી ટ્રેનમાંથી કુદકો મારતા તેઓ માર્યા ગયા હતા.મૃતકોએ એક મહિલા અને તેના નાના બાળકનો તથા એક વયસ્ક વ્યક્તિનો સમાવેશ થાય છે. જયારે નવથી વધુ લોકો આગના કારણે દાઝયા હતા. જેઓને કોમીકાંડમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે આ ઘટનાને અંજામ આપનારની હજુ ઓળખ થઈ નથી.