ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યો : 315 ગાયોને સલામત સ્થળે ખસેડાઇ: આગની લપેટમાં હજારો ટન ઘાસચારો ભસ્મીભુત
જામનગર : જામનગર તાલુકાના દરેડ ફેસ-2માં આવેલા ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં શનીવાર બપોરે અકસ્માતે આગ ભભુકી હતી. જે આગ રવિવાર 23 કલાક થવા છતા પણ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો કરવા છતા સંપૂર્ણપણે કાબુમાં આવી ન હોવાનું ચીફ ફાયર ઓફિસર બીશ્નોઈએ જણાવ્યું હતું. ગૌશાળામાં લાગેલી આગને લઇને ગૌશાળાના સંચાલકોએ સલામતીપૂર્વક ગૌશાળામાં રહેલી 315 ગાયોને સલામત સ્થળે ખસેડી હતી. જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ-2માં આવેલીમાં દર્શન ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં ગઇકાલે બપોરના 2 વાગ્યાના આસપાસ અકસ્માતે આગ ભભુકી ઉઠી હતી. ગોડાઉનમાં ગાયોને ચારો નાંખવા માટેની કડબ, ભુસો સહિતનો સુકો ઘાસચારો હોવાથી જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગેની ફાયરને જાણ કરવામાં આવતાં ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઇ સહિતનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાંચ ગાડી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ ગોડાઉનમાં રહેલુ સુકુ ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું.
આ પણ વાંચો – જામનગર : યુવતીની બાબતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, બંને જૂથના 6 વ્યક્તિને ઈજા
આજે સવારે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્ર્નોઇએ ટેલીફોનીક વાતચીતમાં આગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઇકાલથી જ આજ સવાર સુધી કુલ ફાયરબ્રિગેડની ચાર ગાડીઆો સ્ટેન્ડબાય રાખી ફાયરની ટીમ દ્વારા પાણીનું ફાયરીંગ સતત કરવામાં આવી રહ્યું હતુ. પરંતુ ગૌશાળાના ગોડાઉનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હજારો ટન ઘાસનો જથ્થો હોય જેથી આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો. ફાયરની ટીમ દ્વારા કાલ બપોરથી આજ સવાર સુધી સતત પાણીનો મારો કરવા માટે અને આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના જવાનો મહેનત કરી રહ્યા હતા. પરંતુ આ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નહોતો. આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે પણ તપાસ કરાશે. ગૌશાળાના સંચાલક ચંદુભાઇ સહિતના કાર્યકરોની ટીમ આગના બનાવને લઇને તાત્કાલિક ગૌશાળાએ પહોંચી હતી અને ગૌશાળામાં રહેલી 315 ગાયોને સલામત રીતે બહાર કાઢી અન્ય રૂમમાં ખસેડી દેવામાં આવી હતી. આગના કારણે કોઇ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આગને લઇને ગાયો માટે ગોડાઉનમાં રાખવામાં આવેલો ઘાસનો જથ્થો આગમાં બળીને ખાખ થઇ જતા ગાયો માટે ઘાસચારાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે.