— પોલીસ દોડી આવતા કાર્યકરોને અટકાવ્યા, મામલો શાંત પાડ્યો :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના કોઝી વિસ્તારમાં મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ આગળ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા ઉદયપુરમાં નૂપુર શર્મા ની પોસ્ટ વાયરલ કરનાર ટ્રેલરની થયેલ હત્યાના વિરોધમાં આતંકવાદીઓના પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે પૂતળા દહન થાય તે પહેલાં જ કાર્યકર્તાઓને અટકાવ્યા હતા સમજાવટને અંતે આતંકવાદીના ફોટાનું દહન કરવા દિધુ હતુ.
રાજસ્થાનના ઉદેયપુરમાં રહેતા એક ટ્રેલરે નુપુર શર્મા ની પોસ્ટ વાયરલ કર્યા બાદ તેનું ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. જે ઘટનાના સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. આજે પાલનપુરના કોઝી વિસ્તારમાં મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ આગળ જ બજરંગ દળના કાર્યકર્તાઓ એકત્રીત થઇ આ ઘટનાના વિરોધમાં આતંકવાદીના પૂતળાના દહનનો કાર્યક્રમ રાખ્યો હતો.
જોકે આ બાબતની પોલીસને જાણ થતા પોલીસ દોડી આવી હતી અને પૂતળાનું દહન થાય તે પહેલાં જ પોલીસે કાર્યકર્તાઓને અટકાવી દીધા હતા. જો કે કાર્યકર્તાઓ પૂતળા દહન કરવા દેવાનું જણાવતા પોલીસે ભારે મથામણ કરી સમજાવીને અંતે માત્ર ફોટો સળગાવી વિરોધ પ્રદર્શિત કરવા દિધો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર