રાજકીય પક્ષના ધારાસભ્યોના કોઈ જૂથ દ્વારા એમ ન કહી શકે કે શાસક મોરચા સાથે રહેવાની ઈચ્છા નથી
એક વખત સરકારની રચના થયા બાદ ધારાસભ્યોનું કોઈ જૂથ એમ ન કહી શકે કે અમે સરકાર સાથે નથી
નવી દિલ્હી તા.1 – વિધાનસભામાં ધારાસભ્યોએ પાર્ટીનો વ્હીપ માનવો પડે અને તેનો અનાદર કરનાર સભ્ય ગેરલાયક ઠરી શકે તેવો મહત્વનો ચૂકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચે ચૂકાદામાં સ્પષ્ટ કર્યુ હતું કે એક વખત સરકારની રચના થઈ ગયા બાદ ધારાસભ્યોનું કોઈ જૂથ એમ ન કહી શકે કે અમે સરકાર સાથે નથી. 
રાજકીય પક્ષના ધારાસભ્યોના કોઈ જૂથ દ્વારા એમ ન કહી શકાય કે શાસક મોરચા સાથે રહેવાની ઈચ્છા નથી અને આ સંજોગોમાં ગેરલાયકતાની જોગવાઈ લાગુ પડી શકે. ધારાસભ્યો વ્હીપ માનવા બંધાયેલા છે. ધારાસભામાં સભ્યપદે હોય ત્યાં સુધી પાર્ટીના વ્હીપ માનવો પડે. સિવાય કે રાજકીય પક્ષોનું વિલીનીકરણ થતું હોય.
મહારાષ્ટ્રમાં ગત વર્ષની રાજકીય કટોકટી અને શિવસેનાના ભાગલાના કેસની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસે કહ્યું કે એક તરફ કોઈપણ ધારાસભ્યોએ મોરચા સાથે જવાનું કહ્યું ન હતું તેનો જવાબ સ્પષ્ટ હતો કે તેઓ મોરચા સાથે જવા માંગતા ન હતા. ધારાસભ્ય જયાં સુધી ગૃહનો સભ્ય હોય ત્યાં સુધી ગૃહની શિસ્તનું પાલન કરવું પડે અને પોતાના જ પક્ષ તરફી મતદાન કરવું પડે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ તરફથી કોર્ટમાં પેશ થયેલા સીનીયર એડવોકેટ એમ.કે.કૌલે તેમ કહ્યું હતું કે એક જ દિવસે બે રાજકીય વ્હીપ જારી થયા હતા. સભ્યોએ પાર્ટીના મેન્ડેટનો સ્વીકાર કર્યો હતો. બેમાંથી કઈ પાર્ટીનો વ્હીપ માનવાનો તે સવાલ રહે છે. અત્યારે સતાવાર માન્યતા મેળવનાર પાર્ટીના જૂથ પાસે તે વખતે પણ બહુમતી હતી.
પાર્ટીમાં નારાજગી હતી અને તેને કારણે જ આ જૂથ મોરચા સાથે રહેવા તૈયાર ન હતું. તેઓએ તેવી પણ દલીલ કરી હતી કે ધારાસભ્યોના બળવાને ધ્યાનમાં રાખીને રાજયપાલ પાસે તાકાતના પારખા કરાવવાનું જ યોગ્ય કારણ હતું. જો કે ચીફ જસ્ટીસે કહ્યું કે સતાધારી મોરચામાં અમુક પાર્ટી હટી જાય તો જ આ લાગુ પડે છે.


