ગાર્ડ ઓફ ઓનર : અંબાજી નજીક જાંબુડી ખાતે આર્મી જવાનનું મોત સમગ્ર પંથકમાં શોક છવાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત અંબાજી :  શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીથી 7 કિલોમીટર દૂર બંને તરફ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી છે. કોટેશ્વરથી જાંબુડી તરફના માર્ગ પર બાઈક સ્લીપ થતાં ભૂરારામ કેવળા આદિવાસીનું મૃત્યું થયું હતું. આદીવાસી પરિવારમાં જન્મ થયા બાદ તેમને ભારત દેશની રક્ષા કરવા માટે આર્મીમાં જવાનું પસંદ કર્યું હતું.

તેઓ BSFમાં જોડાયા હતાં અને તેમના લગ્ન અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જમાદાર લીંબાભાઇની પુત્રી સાથે થયા હતા. લગ્ન બાદ તે એક પુત્ર અને એક પુત્રી સાથે સંયુક્ત પરિવારમાં જાંબુડી પાસે રહેતા હતા. હાલમાં તેમની નોકરી છત્તીસગઢ ખાતે હતી. ભૂરારામ કેવળા આદિવાસી ચાર દિવસ અગાઉ પરિવારના કામ અર્થે પોતાના વતન જાંબુડી ખાતે આવ્યા હતા. ઘરેથી બાઈક લઈને જતી વખતે બાઈક સ્લીપ થઈ જવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ગંભીર અવસ્થામાં પાલનપુર ખાતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરુવારે મૃત્યુ થયું હતું. આજે શુક્રવારે તેમને BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું અને અંતિમ સંસ્કાર તેમનાં માદરે વતનમાં કરવામાં આવ્યા હતાં. 162 BSF બટાલિયનના PSI રવિન્દ્ર ગીરી અને તેમની ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સમગ્ર પંથકમાં ‘ભારત માતાકી જય’ના નારા સંભળાયા હતા. આર્મી દ્વારા બંદૂકની સલામી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા હતાં. ભૂરારામ તુમ અમર રહો ના નારા લાગ્યા હતાં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.