અત્યારે કાયદો એવો છેકે, જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માંગતા હોવ તો તમારો જન્મ એક ખેડૂત તરીકે થયો હોવો જોઈએ. અર્થાતઃ જન્મે ખેડૂત હોવ તો જ તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકો છો
ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણમાં થશે ધરખમ ફેરફારો. ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણને લઈને બદલાઈ રહ્યો છે કાયદો. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના કાયદામાં થશે મોટા ફેરફારો. અત્યારે કાયદો એવો છેકે, જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માંગતા હોવ તો તમારો જન્મ એક ખેડૂત તરીકે થયો હોવો જોઈએ. અર્થાતઃ જન્મે ખેડૂત હોવ તો જ તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકો છો. જોકે, હવે આ કાયદામાં થવા જઈ રહ્યો છે મોટો ફેરબદલ. હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે. હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીવાડીની જમીન.
હાલમાં જે રીતે બોનાફાઈફડ પરપઝ સર્ટીફિકેટમાં બિનખેતી વિષયક પ્રવૃતિ શરૂ કરવા જે રીતે સમયાવધિ છે તે હયાત રહશે. કમિટીએ જમીન મિલકત સંલગ્ન iOra હેઠળની તમામ ઓનલાઈન સેવાઓમાં મહત્તમ સરળીકરણના પ્રસ્તાવ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ મીણા કમિટીનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મહેસૂલી કાયદાઓમાં સુધારવા અંગે નિર્ણય લેવાશે.
હાલના કાયદાને કારણે શું તકલીફ પડે છે?
હાલ જે જન્મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. ઔદ્યોગિક વિકાસ માટે જો કોઈ વ્યક્તિ જમીન ખરીદવા માંગતું હોય અને બીજી તરફ ખેડૂત વેચાણ કરવા માંગતો હોય તો પણ તે વેચાણ થઈ શકતી નથી. વર્તમાન સ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે.
ખેતીની જમીન અંગે શું છે ગુજરાત સરકારની આગામી પ્લાન?
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા સરકાર કરવા જઈ રહી છે કાયદામાં ફેરફાર. ગુજરાત સરકાર આગામી ટૂંક સમયમાં જ્યાં શહેરી વિકાસ કે ઔદ્યોગિક વિકાસ માટે ટાઉન પ્લાનિંગ- TP, ઝોનિંગનો ઈરાદો જાહેર થયો હોય ત્યાં બિનખેડૂત વ્યક્તિ સીધી જ ખેતીની જમીન ખરીદી શકે તે દિશામાં મહેસૂલી કાયદાઓમાં ફેરફાર કરવા આગળ વધી રહી છે. હાલ નિવૃત્ત આઈએએસ અધિકારીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય કમિટી આ અંગે સંશોધન કરીને લગભગ કાયદામાં સુધારાના ફાઈનલ ટચઅપ સુધી પહોંચી ગઈ છે.
ખેડૂત ખરાઈ માટે નવી માંગવામાં આવે જૂના પુરાવા!
રાજ્યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેડૂતવર્ગમાં થતુ સ્થળાતંર અને આર્થિક પ્રવૃતિઓમાં આવેલા બદલાવને કારણે ખેતીની જમીન ખરીદીને તબક્કે મહેસૂલી તંત્રમાં ખેડૂત ખરાઈનું પ્રમાણ વધ્યુ છે. કોઈ બિનખેડૂત કે પછી ખોટી રીતે ખેડૂતનું સ્ટેટ્સ મેળવનાર વ્યક્તિ ખેતીની જમીન ખરીદી ન લે તે ઉદ્દેશથી ચાલતી આ વ્યવસ્થામાં અરજદાર ખેડૂતની પાસેથી છેક સને 1950-51થી પુરાવા માંગવામાં આવે છે. એટલે કે અરજદારના પિતા, પૂર્વજો મૂળ ખેડૂત હતા કે કેમ ? હતા તો ગણોત કે અન્ય કેઈ રીતે ખેતીની જમીન તેમને ઉપલબ્ધ થઈ તેની ચકાસણી થાય છે.
મીણા કમિટીમાં કોણ કોણ છે સામેલ?
ચોથી ઓક્ટોબર 2023ના રોજ રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટીમાં મીણા ઉપરાંત રિટાયર્ડ IAS એમ.બી.પરમાર, રિટાયર્ડ સંયુક્ત સચિવ સી.એસ.ઉપાધ્યાય અને જમીન સુધારણા પ્રભાગના સચિવ પી.સ્વરૂપની અત્યાર સુધીમાં અસંખ્ય વખત બેઠકો મળી ચૂકી છે.
જમીનમાલિકને ખેડૂતનું સ્ટેટસ નહીં મળેઃ
ઔદ્યોગિત વિકાસના હેતુસર બિનખેડૂત પોતે ખેતીની જમીન ખરીદી શકશે, ખેતીની જમીન પર ઔદ્યોગિક વિકાસ કરશે. પણ તેને ખેડૂત તરીકેની ઓળખ ખેડૂત તરીકેનું સ્ટેટ નહીં મળે. સંભવિત સુધારાથી ખેતીની જમીન ખરીદનારા બિનખેડૂત વ્યક્તિને ‘ખેડૂત’નું સ્ટેટ્સ મળવાનું નથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અને કાયદામાં સુધારા અંગે કામ કરી રહેલી મીણી કમિટીએ પોતે આ રિપોર્ટ આપ્યો છે.
કાયદાકીય હાલાકીનો આવશે અંતઃ
મહેસૂલ વિભાગમાં iORA તંત્રમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ આવા 1,900થી 2,100 જેટલા કેસ આવે છે. રિટાર્યડ IAS સી.એલ. મીણાના અધ્યક્ષપદે રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટી ખેડૂત ખરાઈ માટે ખેડૂતો માટેનું જૂનુ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી છેક વર્ષ 1950-51થી પુરાવા માંગવા કે તેની ચકાસણીને બદલે માત્ર વિતેલા ત્રણ દાયકાનો રેકર્ડ ચકાસવા એકમત ઉપર આવી છે. સંભવતઃ આવી મર્યાદા 1990 કે 95 આસપાસની હોઈ શકે છે. આ સરળીકરણને કારણે અરજદારોને ખેડૂત ખરાઈમાં પ્રાંત કચેરીઓથી લઈને છેક રેવન્યુ ટ્રિબ્યુનલ કે પછી ખાસ અપિલ સચિવ સુધીની હાલકીનો અંત આવશે.
ગુજરાતના વિકાસને વેગ આપવા બદલાશે કાયદોઃ
એક સમય હતો જ્યારે આપણો દેશ માત્ર ખેતી પર નભતો હતો. આઝાદીના 75 વર્ષ પછી હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને અન્ય માળખાગત જરૂરીયાતોમાં જમીન મુખ્ય પરિબળ હોવાથી તેના વપરાશી સત્તા પ્રકારોમાં સરળીકરણ લાવવા માટે રિટાયર્ડ IAS અને મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર રહેલા સી.એલ. મીણાના અધ્યક્ષપદે સરકારે એક કમિટી રચી હતી. ઉચ્ચસ્તરીય કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. TP, ઔદ્યોગિક વિકાસનો ઈરાદો જાહેર થયો હોય તેવા ક્ષેત્રોમાં કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ કલમ- 63 AA અને કલમ 65- ખ હેઠળ બોનાફાઈફડ પરપઝ સર્ટીની લાંબી પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ ખેતીની જમીન ધારણ કરી શકે તેવી ભલામણ કરવામાં આવી રહી છે. જેના માટે ગણોતધારામાં ફેરફાર થશે.