— રવિવારે યોજાઈ હતી પરીક્ષા :
ગરવી તાકાત વડોદરા : વડોદરામાં નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવશે તેવા ભયને કારણે એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. 17 વર્ષીય વિદ્યાર્થીનીએ રવિવારે નીટની પરીક્ષા આપ્યા બાદ ઘરે આવીને પ્રશ્નપત્ર સોલ્વ કર્યુ હતું. જેથી તેને ડર લાગ્યો કે, તેને MBBSમાં પ્રવેશ નહીં મળે. આ ડરમાં તેણે આપઘાત કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંજલપુરમાં ત્રિમૂર્તિ નગરમાં રહેતી 17 વર્ષની વિધાર્થિનીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. રવિવારે પેપર આપ્યા બાદથી જ વિદ્યાર્થી મૂંઝવણમાં હતી. જેના બાદ સોમવારે તેણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ. વિદ્યાર્થીનીએ નીટની પરીક્ષાનું પેપર આપ્યા બાદ ઘરે આવી પ્રશ્નપત્ર સોલ્વ કર્યું હતું. પ્રશ્નપત્ર સોલ્વ કર્યા બાદ MBBSમાં પ્રવેશ નહીં મળે એવું તેણે મનોમન વિચારી લીધુ હતું. જેના બાદ તેણે આપઘાત કર્યો હતો. તેના પરિવારે આ કારણે આપઘાત કર્યાનું જણાવ્યુ છે. વિદ્યાર્થીની ફોનિક્સ સ્કૂલમાં ભણતી હતી. તેના મોતથી પરિવારમાં માતમ છવાયો.
મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા રવિવારે 17 જુલાઈના રોજ શહેરનાં વિવિધ કેન્દ્રો પર યોજાઈ હતી. શહેરમાં 8 સેન્ટર પર પરીક્ષા યોજાઇ હતી, જેમાં 4 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોટાભાગનું પેપર એનસીઆરટી આધારિત હતું. તો કેટલાક વિદ્યાર્થીઓને ઝૂઓલોજી અઘરું લાગ્યું હતું. પ્રશ્નપત્રની પેટર્નના કારણે આ વર્ષે ઓવરઓલ માધ્યમથી વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગ્યું હતું. સવાલ વાંચી સમજી અને જવાબ આપવાનો હોવાથી સમય માગી લે તેવા વિભાગ વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા
વિદ્યાર્થીઓમાં હવે આત્મહત્યાનુ પ્રમાણ વધી રહ્યાં છે. ખાસ કરીને મોબાઈલ ગેમ અને એના વળગળને કારણે અનેક બાળકો-યુવાનોએ જીવ ગુમાવ્યાના ગુજરાત સહિત દેશભરમાં કિસ્સા છે. સહનશક્તિ ઓછી હોવાથી નબળા મનના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા પ્રેરાય છે. પરીક્ષાના ડરથી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય છે.