વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી
મધ્ય ગુજરાત બાદ વાત સૌરાષ્ટ્રની કરીએ તો, સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 13 – ગુજરાતમાં ગર્જના સાથે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ક્યાંક આફતનો તો ક્યાંક આનંદનો વરસાદ પડી રહ્યો છે. જગતનો તાત ખુશ છે તો ક્યાંક તંત્રના પાપે પ્રજા પરેશાન છે. ત્યારે જુઓ ગુજરાતમાં વરસાદની સ્થિતિનો આ ખાસ અહેવાલ. ખેડા જિલ્લાના નડિયાદમાં જ્યાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. તો માતર તાલુકામાં પણ ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો હતો. માતરના ત્રાજ, લીંબાસી, ખરેટી, પૂનાજ, અસલાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પપડ્યો હતો.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જ્યાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. મધ્ય ગુજરાત બાદ વાત સૌરાષ્ટ્રની કરીએ તો, સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો ગઢડા તાલુકાના ઢસા ગામના છે. જ્યાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તો ભાવનગરમાં પણ મેઘમહેર યથાવત છે. ધીમાધારે સાર્વત્રિક વરસાદને કારણે ભાવનગર શહેરના રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે. તો જિલ્લાના ઉમરાળા તાલુકામાં પણ વરસાદને કારણે લોકોને બફારાથી રાહત મળી હતી. વાત હવે દક્ષિણ ગુજરાતની કરીએ તો, વલસાડમાં વરસાદી માહોલ જામતા નદી નાળા છલકાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં વારોલી નદીમાં નવા નીર આવ્યા હતા. ઉપરવાસમાંથી પાણી આવતાં નદી પરનો કોઝ વે ઓવરફ્લો થયો હતો. નદી-નાળા છલકાતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
વલસાડમાં તંત્રના પાપે વરસાદ વચ્ચે લોકોના જીવ જઈ રહ્યા છે. હાં, તંત્રને કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીને કારણે બાઈક પર સવાર દંપતીએ જીવ ગુમાવ્યો. વાપીના બલિઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે આ ઘટના બની હતી. તો તુટેલા ખાડા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે એમ્બ્યુલન્સે પણ પાણીમાં ફસાવાનો વારો આવ્યો હતો. વાપીના બલિઠા નજીક એમ્બ્યુલન્સ પાણીમાં ભરાઈ રહી હતી. જો કે ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી…તો અન્ય વાહનોને પણ ભરાયેલા આ પાણીને કારણે અસર થઈ છે.
યાત્રાધામ પાવાગઢમાં વરસાદને કારણે માહોલ એવો ખુશનમા થયો છે કે પાવાગઢનો પર્વત વાદળોથી ઢંકાઈ ગયો હતો. નજારો એટલો નયનરમ્ય હતો કે જાણે કુદરત સ્વયં નીચે ઉતરી આવી હોય. મોટી સંખ્યામાં ભક્તોએ વરસાદ વચ્ચે મા મહાકાળીના દર્શનનો લાહવો લીધો હતો. તો રાજ્યમાં આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ દરિયા કાંઠાના જિલ્લાઓમાં વધુ વરસાદ રહેવી તેવી શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.