દેશમાં સૌપ્રથમ વખત આવી ટેકનોલોજીનો ઉપયોગ થશે, ભૂકંપ આવતાની સાથે જ ટ્રેન જ્યાં હશે ત્યાં રોકાઈ જશે
ન્યુ દિલ્હી તા. 30 : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં ભૂકંપને ઓળખવા માટે 28 સિસ્મોમીટર સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્મોમીટર્સને પાવર સપ્લાય કરતા સબ-સ્ટેશન સાથે જોડવામાં આવશે. ભૂકંપના આંચકાની જાણ થતાં જ ઓટોમેટિક પાવર સપ્લાય બંધ થઈ જશે અને બુલેટ ટ્રેન ઈમરજન્સી બ્રેક સાથે બંધ થઈ જશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) એ સોમવારે જણાવ્યું હતું કે, મુસાફરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે જાપાની શિંકનસેન ટેક્નોલોજી પર આધારિત ભૂકંપ શોધ પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે એકસ પર પોસ્ટમાં સિસ્ટમની સ્થાપના વિશે માહિતી આપી છે.
વૈષ્ણવે લખ્યું- ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેનમાં અર્લી અર્થક્વેક ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે. આ અંતર્ગત 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે.મહારાષ્ટ્રમાં 8 અને ગુજરાતમાં 14 સિસ્મોમીટર લગાવવામાં આવશે. 28 સિસ્મોમીટરમાંથી 8 મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર અને બોઈસરમાં લગાવવામાં આવશે. જ્યારે 14 ગુજરાતના વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદમાં લગાવવામાં આવશે. બાકીના 6 સિસ્મોમીટર મહારાષ્ટ્રના ખેડ, રત્નાગીરી, લાતુર અને પાંગરી, ગુજરાતના આડેસર અને જૂના ભુજના ભૂકંપ ગ્રસ્ત વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે.ટ્રેક્શન સબ-સ્ટેશનમાં સિસ્મોમીટર પ્રારંભિક તરંગોમાંથી ભૂકંપના આંચકાઓ શોધી કાઢશે. ભૂકંપની જાણ થતાં જ પાવર આપોઆપ બંધ થઈ જશે.
છેલ્લા 100 વર્ષમાં હાઈ સ્પીડ કોરિડોરમાં આવેલા 5.5થી વધુની તીવ્રતાના ભૂકંપનો સર્વે જાપાનના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો હતો. આ સર્વે અને માટી પરીક્ષણ બાદ સિસ્મોમીટર લગાવવા માટેની જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી બુલેટ ટ્રેન ત્રણ કલાકમાં 508 કિમીનું અંતર કાપશે. હાલમાં, દુરંતો બંને શહેરો વચ્ચે સાડા પાંચ કલાકમાં મુસાફરી કરે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે.