ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા વિધાનસભામાં સમય પસાર કરવો પણ મુશ્કેલ
ગરવી તાકાત, ગાંધીનગર – જે રીતે મોદી-શાહ અને પાટીલન જોડીએ નાનુ મંત્રી મંડળ રાખ્યુ અને તેમાં પણ અનેક જૂુના મંત્રીઓને તેમજ મોટુ સ્થાન ભોગવી ચૂકેલા પક્ષના નેતાઓને નહીં સમાવતા તેઓને વિધાનસભામાં સમય પસાર કરવો પણ મુશ્કેલ છે. સૌથી મહત્વનું શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા તેની પાછળ પક્ષની ચાલ શું છે તે હજુ સુધી કોઇ સમજી શક્યું નથી અને અંતે તેમનો અવાજ ખુબ જ સારો છે તેમ કહી મન મનાવી લેવાયું છે તો બીજી તરફ બે પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવા ફરી વિધાનસભામાં તો ચૂંટાયા અને હવે બાજુબાજુમાં બેસીને એકબીજાને સાંત્વના આપે છે. 
ગુજરાત વિધાનસભામાં ભાજપના 156+3 એમ 159 ધારાસભ્યો છે પરંતુ અનેક પૂર્વ મંત્રીઓ અને ભુતકાળમાં જેમનો વિધાનસભાથી લઇ સચિવાલયમાં દબદબો હતો તેવા અનેક ધારાસભ્યોને પોતાને ટીકીટ મળી તેથી લક્કી સમજતા હતા અને જીતી ગયા પછી મંત્રીમંડળમાં સ્થાન મેળવશે તેવી આશા હતી તેની પર પાણી ફરી વળ્યું છે.
ભાજપના પૂર્વ દંડક પંકજ દેસાઈ પાસે હવે કોઇ કામ નથી અને તેથી તેઓ આંટા મારતા નજરે ચડ્યા હતા. કેટલાક પૂર્વ મંત્રીઓ અને સિનિયર સભ્યોને મંત્રીઓની ચેમ્બરમાં જતા પણ શરમ અનુભવે છે અને તેથી તેઓ તૂર્ત જ તેઓ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાન અથવા વતનમાં ચાલ્યા જાય છે.


