ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ટુંક સમયમાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. તા.27/08/2025 થી 06/09/2025 સુધી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, ગણેશજીની સ્થાપના બાદ ધાર્મિક રીતી રિવાજ મુજબ તારીખ 06/09/2025 સુધી વિસર્જન સરઘસ નિકળી ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવનાર છે. દેવી-દેવતાઓની મુર્તિઓની બનાવટમાં કેમીકલ યુક્ત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મુર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવામાં આવેથી પાણીમાં રહેતા પાણી જન્ય જીવો માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે.

જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડ લાઈનને ધ્યાને રાખવી જરૂરી છે તેમજ મહેસાણા જિલ્લાની જનતાની શાંતિ, સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અને પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર ભારતીય નાગિરક સુરક્ષા સંહીતા-૨૦૨૩ની કલમ-163 હેઠળ કેટલાક કૃત્યો પર પ્રતિબંધ મુક્તુ મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જશવંત કે.જેગોડા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર મહેસાણા જિલ્લાના શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વ્યક્તિઓ, સમુચિત જન સમુદાયે નીચે મુજબના કાર્યોનું પાલન કરવા તેમજ વ્યવસ્થાનો અમલ કરવા આદેશ ફરમાવામાં આવ્યો છે.
(1) સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે.
(2) શ્રી ગણેશજીની 4 ફૂટ કરતાં વધુ ઉંચાઈની મૂર્તિ મૂર્તિકારોએ બનાવવી નહી કે વેચાણ કરવું નહી.
(3) મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહી.

(4) શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ અને ફાયબરની મૂર્તિઓ વેચવી નહી, સ્થાપના કરવી નહીં, જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળ સ્ત્રોતમાં વિસર્જન કરવું નહી.
(5) કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવી, ખરીદવી, વેચવી અને તેની સ્થાપના કરવી નહી.
(6) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી મુકવી નહી.
(7) શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવી નહી.
(8) સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે.

(9) સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે, અન્ય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહીં.
(10) ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફકત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે.
(11) ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન કરે જ કરવામાં આવે તો વધારે હિતાવહ રહેશે.
(12) સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.
(13) સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઈ એક જ સ્થળે ભીડ એકત્રિત થાય નહીં.

આ હુકમ પ્રસિધ્ધ થયા તારીખથી 06/09/2025ના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા-2023ની કલમ-223 તથા ગુ.પો અધિ.ક.-135 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે


