— પી.એમ. પટેલ કોલેજના પરીક્ષા કેન્દ્રમાં એમ.એલ.એ. સામે કોપી કેસ થયાની ચર્ચા :
–રાજકીય નેતા ગેરરીતિ આચરતા પકડાતા મામલા ઉપર પડદો પાડી દેવા ઉચ્ચકક્ષાએથી ધમપછાડા :
— ઉતાવળમાં ખીસ્સામાં મોબાઇલ રહી ગયો હોવાનો ધારાસભ્યનો લુલો બચાવ :
મળતી માહિતી મુજબ સોમવારના રોજથી સ.પ. યુનિ.ની સ્નાતક કક્ષાની ચોથા અને છઠ્ઠા સેમની તેમજ અનુસ્નાતક કક્ષાના ત્રીજા અને ચોથા સેમ.ની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. યુનિ.ની પરીક્ષાઓ અંતર્ગત અલગ અલગ કોલેજોમાં ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પૈકી આણંદ શહેરના નવા બસ મથક નજીક આવેલ પી.એમ. પટેલ કોલેજમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. આ કેન્દ્ર ખાતે મહુધાના એમએલએ ઈન્દ્રજીતસિંહ પરમાર એમ.એ. વિષયની પરીક્ષા આપી રહ્યા હોઈ આજે સવારના સુમારે તેઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા આવ્યા હતા.
પરીક્ષા દરમિયાન બોરસદની એક કોલેજના નિરીક્ષકે મહુધાના એમએલએને ગેરરીતી કરતા ઝડપી પાડયા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. જો કે નિરીક્ષક દ્વારા કોપી કેસ કરવામાં આવે તે પૂર્વે રાજકીય દબાણ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસના એમએલએ સામે થયેલ કથિત ગેરરીતી સંદર્ભે કેટલાક મોટા રાજકીય માથાઓએ દબાણ કરી સમગ્ર મામલો રફેદફે કરવા મેદાને ઉતરી મામલાની પતાવટ કરી હોવાની વાતો પણ સંભળાઈ રહી છે. જો કે કોંગ્રેસના એમએલએ પરીક્ષા દરમિયાન ગેરરીતી કરતા ઝડપાયા કે કેમ તે અંગે અનેક પ્રકારના તર્કવિતર્કો શિક્ષણવિદ્દો સહિત વિદ્યાર્થી આલમમાં થઈ રહ્યા છે. ત્યારે આજે યોજાયેલ પરીક્ષા દરમિયાન આણંદના પી.એમ. પટેલ તથા વિદ્યાનગરના બીજેવીએમ કોલેજના પરીક્ષા કેન્દ્રો ખાતેથી એક-એક મળી કુલ બે કોપી કેસ નોંધાયા હોવાનું યુનિ. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
— મારી સામે કોપી કેસ થયો નથી : ધારાસભ્ય :
આ અંગે મહુધા કોંગ્રેસના એમએલએ ઈન્દ્રજીતસિંહ પરમારનો ટેલીફોનીક સંપર્ક કરી પૃચ્છા કરવા તેઓએ જણાવ્યું હતું કે તેઓ આણંદના પરીક્ષા કેન્દ્ર ખાતે એમ.એ. વિષયની પરીક્ષા આપવા માટે ગયા હતા પરંતુ પરીક્ષામાં મોડું થઈ ગયું હોય ઉતાવળમાં તેઓનો મોબાઈલ ખિસ્સામાં રહી ગયો હતો. જે ખંડ નિરીક્ષકના ધ્યાને આવતા તેઓએ તરત જ મોબાઈલ બહાર મુકી દીધો હતો અને પોતાની સામે કોઈ કોપી કેસ ન થયો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
— ઇન્ચાર્જ કુલપતિ સમગ્ર ઘટનાથી અજાણ :
આ અંગે સ.પ. યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ નિરંજન પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મહુધા કોંગ્રેસના એમએલએ સામે કોપી કેસ નોંધાયો હોય તેવું મારી જાણમાં નથી. પરીક્ષા વિભાગમાં પૂછવું પડે. પરીક્ષા વિભાગ પાસેથી માહિતી લીધા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
— પ્રથમ દિવસે 2 કોપી કેસ નોંધાયા :
સ.પ. યુનિ.ના પરીક્ષા વિભાગના નિયામક અતુલભાઈનો સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે ગઈકાલથી શરૂ થયેલ યુનિ.ની પરીક્ષામાં પ્રથમ દિવસે એન.વી. પાસ અને ડી.એન. ઈન્સ્ટીટયુટમાં એક-એક મળી કુલ બે કોપી કેસ નોંધાયા હતા. જ્યારે આજે પણ આણંદની પી.એમ. પટેલ તથા વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતેથી એક-એક મળી કુલ બે કોપી કેસ નોંધાયા છે. જે પૈકી પી.એમ. પટેલ પરીક્ષા કેન્દ્ર ખાતે કોના વિરુધ્ધ કોપી કેસ નોંધાયો તે સંદર્ભે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોપી કેસની વિગત સીલબંધ કવરમાં હોય જેથી તે અંગે જાણકારી મળી શકે નહીં. સીલબંધ કવર પરીક્ષા સમિતિ સમક્ષ જ્યારે ખોલવામાં આવે ત્યારે કયા વિદ્યાર્થી વિરુધ્ધ કોપી કેસ થયો છે તેની માહિતી મળી શકે.