મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા સંચાલિત અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત “કોચવા ગામે વિદ્યાસંકુલ લોકાર્પણ સમારોહ યોજાયો
સરકાર સાથે નાગરિકો વિકાસ કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ બેવડી થઈ જાય છે
ગરવી તાકાત, મહેસાણા તા. 15 – કોચવા ગામે શાળા લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આઝાદી બાદ સતત સમરસ ગામનું નિર્માણ કરીને આ ગામે અન્ય ગામોને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, છેલ્લા દાયકાઓ બાદ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીશ્રીએ શપથ લઈને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર થકી અનેક વિકાસ કાર્યોની જનતાને ભેટ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સરકાર સાથે નાગરિકો વિકાસ કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ બેવડી થઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની પરિકલ્પના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસ થકી સાથે લઈને ચાલવાની કાર્ય પદ્ધતિને આજે કોચવા ગામે પરિપૂર્ણ કરી છે. મુખ્યમંત્રીશ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે દાતા પરિવારે માતૃભૂમિનું ઋણ અદા કરી અન્ય દાતાશ્રીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે વધતી જતી ગ્લોબલ વોર્મિંગની અસરથી બચવા માટે ગ્રામજનોએ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વધુ વૃક્ષોનું વાવેતર કરીને એક નાગરિક તરીકેની ફરજ નિભાવી હરિયાળા ગામનું નિર્માણ કરવાનો સંકલ્પ થકી કોચવા ગામને કંચનપુર ગામ બનાવવા માટે સૌએ પહેલ કરવી જોઇએ. મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું કે કંચનપુર કોચવા ગામ મોડેલ ગામ બની અન્ય ગામોને પણ પ્રેરણા આપી રહ્યું છે. રાજ્યના તમામ ગામો આ ગામની પહેલને બિરદાવી કોચવા ગામમાં થઈ રહેલા કર્યો કરે તેમ ગ્રામજનો અને દાતાશ્રીઓને જણાવ્યું હતું.
આ તકે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ આધુનિક વિજ્ઞાનના યુગમાં બાળકોમાં સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે આ પ્રકારની અદ્યતન નવીન સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે ગ્રામજનોને બાળકો ઉપર વિશેષ ધ્યાન આપી ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સતત ફોલોઅપ લેવા માટે પણ સૂચન કર્યું હતું. આ પ્રસંગે ઇન્ડિય ફોરેસ્ટ સર્વિસમાં ઉત્તીર્ણ થયેલ મયુર કૃષ્ણકાન્તનું સ્વાગત મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું., મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુંભાવોનું સ્વાગત ગ્રામજનો અને દાતાશ્રી પરીવાર દ્વારા કરાયું હતું.
આ લોકાર્પણ સમારોહમાં સાંસદશ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રી કરસનભાઈ સોલંકી, ધારાસભ્યશ્રી સી. જે. ચાવડા, મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસમીન, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, અવિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશનના ચેરમેન અશોક બારોટ, દાતા પરિવાર, કોચવા ગામના ગ્રામજનો સહિત અનેક અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.