ગરવી તાકાત ઃ 3-9-2026
મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લા પેરોલ/ફર્લો સ્કોડની ટીમને વધુ એક મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. બહુચરાજી પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મુખ્ય આરોપી તેમજ ભોગ બનનારને સ્કોડની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તેમજ મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની કડક સૂચના અને એલસીબી પી.આઈ. એ.એમ. કામળીયાના સીધા માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડના પીએસઆઈ કે.જી. ચૌધરી તેમજ તેમની ટીમ વોન્ટેડ ગુનેગારોની માહિતી એકત્ર કરી રહી હતી. આ દરમિયાન મોરબી વિસ્તારમાં તપાસ અર્થે ગયેલા સ્કોડના એએસઆઈ દિનેશભાઈ અને કોન્સ્ટેબલ હિતેશકુમારને ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ વિગત મળી હતી કે બહુચરાજી પોલીસ મથકના અપહરણના ગુનામાં સંડોવાયેલો શખ્સ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં આશરો લઈને છુપાયો છે.
બાતમી મુજબ, મૂળ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નવામાંકા ગામનો વતની આરોપી સચીનજી અમરતજી ઠાકોર (ઉં.વ. ૨૨) હાલ ધ્રાંગધ્રા સ્થિત કે.વી. મહેતા વાડીમાં હાજર હોવાની પુષ્ટિ થતાં જ મહેસાણા પોલીસે સ્થાનિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સંપર્ક સાધી મદદ મેળવી હતી. બંને પોલીસ ટીમોએ સંયુક્ત રીતે કે.વી. મહેતા વાડી ખાતે ઓચિંતો દરોડો પાડી આરોપી સચીનજી ઠાકોરને સ્થળ પરથી કોર્ડન કરીને દબોચી લીધો હતો. સ્થળ તપાસ અને પૂછપરછ દરમિયાન અપહરણના ગુનામાં ભોગ બનનાર પણ તેની સાથે જ મળી આવ્યા હતા.
પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપીને કસ્ટડીમાં લીધો હતો તેમજ ભોગ બનનારને સુરક્ષિત રીતે સાથે રાખી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે બંનેને બહુચરાજી પોલીસ મથકને સોંપ્યા હતા. આ સમગ્ર સફળ ઓપરેશનમાં પીએસઆઈ કે.જી. ચૌધરી, એએસઆઈ દિનેશભાઈ, એએસઆઈ ચેતનકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર સહિતના સ્ટાફે સક્રિય અને પ્રશંસનીય ભૂમિકા નિભાવી હતી.


