— બ્રિજેશ્વર કોલોની વિસ્તારના વેપારીઓ અને રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થઇ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા..
ગરવી તાકાત પાલનપુર: પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોનીથી વડલીવાળા પરા સુધીનો મુખ્ય રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે આસપાસના વેપારીઓ તેમજ રહીશોને ઉડતી ધૂળની ડમરીઓને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજે મોટી સંખ્યામાં રહીશો અને વેપારીઓ એકત્રિત થઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી વિરોધ દર્શાવ્યો હતો અને બે માસમાં રોડ નહીં બને તો જન આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની થી વડલીવાળા પરા સુધીનો મુખ્ય રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ રોડ બિસ્માર હાલતને કારણે અહીં ધૂળની ડમરીઓ ઊડવા લાગી છે અને તેના કારણે આસપાસના વેપારીઓને રહીશોના ઘરમાં પણ ધૂળ ઊડીને જતી હોઈ ભારે હાલાકી પડી રહી છે આ ઉપરાંત આ માર્ગ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ જોડતો મુખ્ય માર્ગ હોઈ અહીંથી મોટીસંખ્યામાં દિવસભર વાહનોની અવરજવર રહેતી હોય વાહન ચાલકોના ના વાહનો પણ આ ડિસ્કો ડાન્સિંગ માર્ગ પર ચાલી ચાલીને ખરાબ થઇ જતા હોઇ મેઇન્ટેનન્સ ખર્ચ વધી જાય છે.
આ બાબતે અનેકવાર નગરપાલિકામાં રજુઆત કરવા છતાં આ રસ્તાનું નિરાકરણ ન આવતા આખરે આજે મોટી સંખ્યામાં બ્રિજેશ્વર કોલોની વિસ્તારના રહીશો અને વેપારીઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને નગર પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરોએ બે માસમાં આ રોડ બનાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
— બે માસમાં રોડ નહીં બને તો જન આંદોલન છેડાશે : રહીશો..
આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ રોડની હાલત ભંગાર હોઇ ધૂળ ઊડીને વેપારીઓની દુકાનોમાં અને લોકોના ઘરોમાં જતી હોવાથી લોકોનું આરોગ્ય રીતસરનું જોખમાઈ રહ્યું છે. આ બાબતે અનેક રજુઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર ના સત્તાધીશોના બહેરા કાને સાંભળતા ન હોવાથી આજે વિરોધ દર્શાવતા બે માસની મુદત આપવામાં આવી છે અને બે માસમાં આ રસ્તો નહીં બને તો જનઆંદોલન છેડવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
–રોડનું કામ વહીવટી પ્રક્રિયામાં હોવાથી અટક્યું : પ્રમુખ
આ અંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલે જણાવ્યું હતું કે રોડને મંજુરી મળી ગઈ છે પરંતુ રોડનું કામ વહીવટી પ્રક્રિયામાં હોવાથી હાલમાં અટક્યું છે. જોકે સત્વરે આ રોડ બનાવવામાં આવશે અને લોકોને પડતી પારાવાર હાલાકીમાંથી મુક્તિ મળશે તેમ જણાવ્યું હતું.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા–પાલનપુર