શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત સરકારે મહત્ત્વની ગાઈડલાઈન જાહેર કરી છે
બપોરના એકથી સાંજના ચાર કલાક દરમ્યાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરોએ રાખેલા શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી પડશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 23 – ગુજરાતમાં સતત વધી રહ્યો છે ગરમીનો પ્રકોપ. વધતા જતા ગરમીના પ્રકોપને પગલે તંત્ર દ્વારા પણ યલો, ઓરેન્જ અને વધુ ડેન્ઝર સ્થિતિ હોય ત્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પેટીયું રળતા શ્રમિકો માટે સરકાર મહત્ત્વનો આદેશ કર્યો છે. હવેથી ગરમીના સમયમાં મજૂરો, શ્રમિકો, કામદારોને બપોરના 4 કલાક કામમાંથી મુક્તિ આપવી પડશે.

બપોરના સમયમાં ધોમધખતી ગરમી અને હીટવેવની અસર થતી હોય છે. આવી સ્થિતિમાં માથુફાડી નાંખે એવી ગરમીમાં શ્રમિકો કામ કરતા હોય છે. ખાસ કરીને કંસ્ટ્રકશનના કામમાં કામ કરતા શ્રમિકોની હાલત દયનીય બની જાય છે. ઘણાં શ્રમિકો પૈસા કમાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને અગન ભટ્ટી સમાન ગરમીમાં કામ કરતા હોય છે. આવા શ્રમિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત સરકારે મહત્ત્વની ગાઈડલાઈન જાહેર કરી છે.
કોન્ટ્રાક્ટર ઈન્કાર કરે તો કરી શકાશે ફરિયાદઃ
કાળઝાળ ગરમીમાં શ્રમિકોની ચિંતા કરીને ગુજરાત સરકારે નિર્ણય કર્યો છેકે, હવે ધોમધખતી ગરમી અને હીટવેવના કારણે બપોરના એકથી સાંજના ચાર કલાક દરમ્યાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરોએ રાખેલા શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી પડશે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઈન્કાર કરે તો ખુદ શ્રમિક ફરિયાદ કરી શકશે.

બપોરના સમયે બંધ રહેશે તમામ કંસ્ટ્રક્શન સાઈટઃ
રાજ્યમાં ઘણી જગ્યાએ શ્રમિકોને હીટવેવની સ્થિતિમાં કામ કરવું પડે છે. અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પોયમેન્ટ એન્ડ એક્ટ હેઠળ બાંધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને ઉનાળાની સિઝનમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે તેથી આવી સાઈટો બપોરના સમયે બંધ કરવામાં આવે, કે જેથી શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે.
કામદારોને તપતી ગરમીથી બચાવવા સરકારનો આદેશઃ
શ્રમિકોને વિવિધ જોખમો સામે રક્ષણ મળી રહે તે માટે આ કાયદા પ્રમાણે બપોરે 1 થી 4 કલાક દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તડકાની સીધી અસર પડે છે ત્યાં બાંધકામ પ્રવૃત્તિ કરાવનારા બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોને જૂન મહિના સુધી આ સમયગાળા પુરતો આરામ કે વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે.
આ હેલ્પલાઈન પર કરી શકાશે ફરિયાદઃ
રાજ્ય સરકારના કાયદા પ્રમાણે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જૂથ જવાબદાર ગણાશે અને તેમની સામે પગલાં લેવાશે, જ્યારે જે શ્રમિકને બપોરના સમયે કામ કરવા આગ્રહ કરવામાં આવે તે હેલ્પલાઈન નં. 155372 ઉપર ફરિયાદ નોંધાવી શકે છે.


