સાહિત્યસર્જક અને પૂર્વ આઈ.એ.એસ. અધિકારી શ્રી ભાગ્યેશ ઝાએ યુનિ.ની. કેળવણી-પ્રથાને “નાલંદા” અને “સ્ટેનફોર્ડ” સાથે સરખાવી!
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – ગણપત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈ તારીખ 4થી નવેમ્બર, 2023ના રોજ અહમદાવાદના એ.એમ.એ. ખાતે એક “ઇન્ડસ્ટ્રી-ઇન્સ્ટિટ્યૂટ મીટ”નું ભારે સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ મિલન દ્વારા વિવિધ ઉદ્યોગ-ગૃહોના અગ્રણીઓ તથા કેળવણીકારો વચ્ચે એક વધુ નજીકના સંબંધો માટેનો સેતુ બંધાયો હતો. આ અવસરે 80 જેટલાં ઉદ્યોગ-અગ્રણીઓ તેમજ કેટલાંક ચુનંદા પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમનું પુરા આદરભાવ સાથે પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના વર્તમાન પ્રમુખ તેમજ પૂર્વ આઈ.એ.એસ. અધિકારી સમ્માનનીય શ્રી ભાગ્યેશભાઈ ઝા આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે પધાર્યા હતા જેમનું ભારે ઉત્સાહ અને ઉમંગભરે ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા) અને ગણપત યુનિ. ના પ્રો ચાન્સેલર અને ડાયરેકટર જનરલ પ્રો.ડૉ. મહેન્દ્ર શર્માએ સ્વાગત કર્યું હતું.

ગણપત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર પ્રો.ડૉ. કિશોર બારડે આ સંમેલનના હેતુની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગો વચ્ચે સંવાદ, સહભાગિતા અને સમજ દ્વારા જે સેતુ રચાય છે તેનું ભારે ઊંચુ મહત્વ છે જે વિદ્યાર્થીઓની કારકિર્દી અને જીવન ઘડતરમાં ખૂબ ઉપયોગી બની રહે છે. એમણે “નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સલ (નાક) NAACની ટીમ યુનિ. ની મુલાકાત લે ત્યારે ખાસ ઉપસ્થિત રહી એમની સાથે સુ-સંવાદ સાધવાની વાત પણ ઉધોગ-અગ્રણીઓને જણાવી.
યુનિ. ના પ્રેસિડેન્ટ અને પેટ્રન-ઈન-ચીફ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ (દાદા) એ જયારે અતિથિ વિશેષ શ્રી ભાગ્યેશભાઈ ઝાનું સ્વાગત કર્યું ત્યારે તેમને ગણપત યુનિવર્સિટીનો ખેસ અર્પણ કરતા જણાવ્યું હતું આ ખેસ ઉપર મુદ્રિત બે શબ્દો – “સંવેદના” અને “કરુણા” નું અમારી કેળવણીમાં ખૂબ મહત્વ છે. અમારા વિદ્યાર્થીઓ પોતાના વિષયના નિષ્ણાત બને એ જ અમારા માટે પૂરતું નથી, પરંતુ એમના ચારિત્રનું પણ સુપેરે ઘડતર થાય તે પણ ઘણું મહત્વનું છે. દાદાએ ગણપત યુનિવર્સિટીના લોગોના એક એક પૃષ્ઠમાં છુપાયેલા જીવનના વિવિધ મૂલ્યોની પણ વિગતે વાત કરી હતી જેમાં જ્ઞાન, નિષ્ઠા, સખત પરિશ્રમ, નેતૃત્વ, જૂથ-કાર્ય અને ઈમાનદારી જેવાં સદગુણોનો સમાવેશ થાય છે.
– તો ગણપત યુનિ. ના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.ડૉ. મહેન્દ્ર શર્માએ યુનિ.ના વિઝન, સિદ્ધિઓ, વિકાસ સહિતના મુદ્દાઓ વિષે વિગતે વાત કરતા યુનિ.એ તાજેતરમાં હાથ ધરેલા વિશેષ પ્રકલ્પ “પંચક્રિયા” ની પણ વાત કરી હતી જેમાં વિદ્યાર્થીઓ જીવનના પાયાના કેટલાંક મૂલ્યવાન કૌશલ્યો સીખે છે અને સફળતા માટેનો આત્મવિશ્વાસ કેળવે છે. આ મૂલ્ય-બોધ અન્ય કોઈનો નહીં, પણ ચાણક્યનો છે.
અવસરના અતિથિ-વિશેષ ડૉ. ભાગ્યેશભાઈ ઝાએ યુનિવર્સિટીની કેળવણી માટેની પદ્ધતિ અને તેના મૂલ્યવર્ધિત શિક્ષણની ભારે સરાહના કરી હતી. શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગો વચ્ચેનના સંબંધોની રચના-પ્રક્રિયા એ હંમેશા ચાલતી રહેવી જોઈએ અને અલબત્ત, ગણપત યુનિવર્સિટી એ માટે પ્રતિબધ્ધ છે. શ્રી ઝા સાહેબે યુનિવર્સિટીની જ્ઞાન-પ્રણાલિને ભારતની પ્રાચીન વિશ્વવિદ્યાલય “નાલંદા” અને આધુનિક વિશ્વવિખાય્ત યુનિવર્સિટી “સ્ટેનફોર્ડ” સાથે જોડી હતી.
ગણપત યુનિવર્સિટીના “ઇન્ટર્નલ કવૉલિટી એસ્યુરન્સ સેલ” ના કો-ઑર્ડિનેટર પ્રો.ડૉ. સુબ્રત સાહુએ “નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સલ (નાક) NAAC અને ઉદ્યોગ-ગૃહો સાથેની સહભાગિતાના સંદર્ભે યુનિવર્સિટીનું સ્થાન વિષે વિષદ છણાવટ કરી હતી. શ્રી સાહુએ ઉદ્યોગ-ગૃહોના તમામ અગ્રણીઓને યુનિવર્સિટીની મુલાકાત લેવાની હાર્દિક વિનંતી કરી હતી તેથી યુનિ.ની શિક્ષણ-પ્રણાલી, વિશેષતાઓ અને સિધ્ધિઓ વિષે વધુ ઉંડાણથી નિરીક્ષણ થઇ શકે. ફોરમને પછીથી પ્રશ્નોત્તરી માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં વિવિધ ઉદ્યોગ-અગ્રણીઓએ ઘણી અર્થપૂર્ણ ચર્ચા કરી હતી. સુરુચિ ભોજન સાથે સૌએ પરસ્પર સાથે વિશેષ પરિચયનો જ્ઞાનગોષ્ઠિનો લાભ લીધો હતો.


