-> કલરનાં પોપડા ઉખડી ગયા, ટાઈલ્સ પણ ઉખડી ગઈ, ટોયલેટના કનેક્શન પણ જુદા પડ્યા છે :
-> કોન્ટ્રાકટરની લાલીયાવાડી : ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ થયું જ નથી. દીવાલોના પણ પોપડા ઉખડી રહ્યાં છે :
ગરવી તાકાત બનાસકાંઠા : વાવ તાલુકાનાં ટડાવ ચોથાનેસડા રોડ પર આવેલ ટડાવ ગામે બી.આર.જી.એફ યોજના અંતર્ગત પશુ દવાખાનું તા.31/5/2011નાં રોજ તત્કાલીન પશુપાલન મંત્રી દિલીપભાઈ સંઘાણીનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જોકે 14 વર્ષ બાદ તાજેતરમાં જ છ માસ પૂર્વે રૂ.22 લાખના ખર્ચે પશુ દવાખાનાનાં રિનોવેશનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી સહિત કામમાં વેઠ વાળીને બીલો પાસ કર્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

વાવ તાલુકાનાં ટડાવ ગામમાં ગત જૂન 2025માં પશુ દવાખાનામાં રિનોવેશનની કામગીરીઓ કરવામાં આવી હતી.જોકે સમગ્ર કામમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિઓ આચરાઈ હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું.જોકે આખા મકાનમાં ઇલેક્ટ્રિક ફિટિંગનું કામ જરાય પણ થયું જ નથી તો ટાઈલ્સ, મકાનની ચારે બાજુ બનાવેલ કોટ, ટોયલેટનું કામમાં, મકાનના તમામ દરવાજા જૂના છે અને બારીઓ ડાયરેક્ટ પતરું મારેલ હોવાથી ખોલતી નથી. જમીનમાં બનાવેલ સંપ ઉપર ધાબુ ભરેલ નહી હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું.

આ અંગે ટડાવ ગામના અમરતભાઈ નાગજીભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ રિનોવેશનું અંદાજિત બજેટ રૂ.22 લાખનું હતું આ કામ જોતા પરંતુ માત્ર અમારા અંદાજ મુજબ ચાર થી પાંચ લાખ રૂપિયાનું જ છે જેમાં તળિયું હોય ઉપરનું ફ્લોરનું કામ હોય,ફ્લોર ઉપર ચડવાની સીડી હોય,પાણીનું ટાંકું હોય , વરંડો હોય કે પછી પશુઓ માટેનો શેડ હોય એમાંનું અહીંયા કશું જ દેખાતું નથી. તકતી લગાવાની હતી એ પણ છૂટી રખડી રહી છે.બારીની જગ્યાએ પતરું મારીને વેલ્ડિંગ કરેલ છે જે ક્યારેય ખુલ્લેએમ જ નથી.સમગ્ર કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રૂ .22 લાખના ખર્ચે કામ થયું છે અને એસ.સી.ચૌધરી એજન્સીને આપવામાં આવ્યું હતું અને કોઈ કામ રહી જાય તો એજન્સી કામ કરવાનું થાય છે અને ક્ષારને કારણે કલરનું કામ બરાબર નહી થયું હોવાનું જણાવી લૂલો બચાવ કર્યો હતો.અને જે ટડાવમાં શેડ બનાવેલો છે તે આખા તાલુકામાં બતાવો તેવું કહ્યું હતું.કામ ઝીણું ઝીણું છે અને કોઈ જગ્યાએ બાંધછોડ નહી હોવાનું કહ્યું હતું.અને અધૂરી કામગીરીઓ પંદર દિવસમાં પૂરી કરવામાં આવશે તેવું કહ્યું હતું.


