નવી દિલ્હી તા. 30 – જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટનામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ બસ વૈષ્ણોદેવી માટે મુસાફરોને લઈને અમૃતસરથી કટરા લઈ જઈ રહી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી 7 મુસાફરોના મોત થયા હોવાની અને 12થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે.
અકસ્માત બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘટના અંગે માહિતી આપતા જમ્મુના ડીસીએ જણાવ્યું હતું કે બસ ઊંડી ખીણમાં પડી જવાને કારણે 7 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી કે તરત જ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ખાઈમાં પડી ગઈ હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 75 લોકો સવાર હતા. જેમાંથી 7ના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે જમ્મુ મોકલવામાં આવ્યા છે. અકસ્માત પાછળનું મુખ્ય કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. જ્યારે બસમાં કુલ મુસાફરોની સંખ્યા 75 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. કેટલાક મુસાફરો બસની નીચે પણ દટાયા હોવાની આશંકા છે.
મૃત્યુઆંક પણ વધી શકે છે. સીઆરપીએફ ઓફિસર અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે અમને સવારે અકસ્માતની માહિતી મળી હતી અને તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યુ હતું. ખાઈમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.