ગરવી તાકાત ઃ8-9-2026
બેચરાજી તાલુકાના ખાંભેલ ગામમાં રહેતા એક સીધા-સાદા ખેડૂત અજાણ્યા સાયબર ગઠિયાઓની લાલચભરી માયાજાળમાં ફસાઈ જતાં તેમણે પોતાની પરસેવાની કમાણીના લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આધુનિક ટેકનોલોજી અને સામાજિક માધ્યમોના દુરુપયોગ થકી ભોળા નાગરિકોને શિકાર બનાવતી ગેંગે આ વખતે જૂની ચલણી નોટોની ખરીદી અને વેચાણના બહાને મોટો ખેલ પાડ્યો છે. ખાસ કરીને ૭૮૬ સીરિયલ નંબર ધરાવતી જૂની ચલણી નોટો ખૂબ ઊંચી કિંમતે વેચાય છે તેવી ભ્રામક જાહેરાત જોઈને સંપર્ક કરનાર ખેડૂત પાસેથી એક પછી એક બહાના હેઠળ લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે ખાંભેલ ગામના રહીશ રઇજીજી ચુંથાજી ઠાકોર સામાજિક માધ્યમ ફેસબુક પર સક્રિય હતા તે દરમિયાન તેમના ધ્યાને ‘સારીકા ગુપ્તા’ નામના ખાતા પરથી મુકાયેલી એક આકર્ષક જાહેરાત ચડી હતી. આ જાહેરાતમાં એવો લોભામણો દાવો કરાયો હતો કે ૭૮૬ અંક ધરાવતી ₹૫૦૦ ની જૂની ચલણી નોટના બદલામાં ઘરે બેઠા ₹૨૫ લાખ ચૂકવવામાં આવશે. રઇજીજી પાસે સંજોગોવશાત્ ૭૮૬ નંબરવાળી ₹૫૦૦ ની બે નોટો તેમજ ₹૧૦૦ ની એક ચલણી નોટ સચવાયેલી પડી હતી. આથી આ નોટોના વેચાણ થકી મોટી રકમ મળશે તેવી આશાએ તેમણે જાહેરાતમાં દર્શાવેલા સંપર્ક નંબર પર વાતચીત કરી હતી.
સામે છેડેથી વાત કરનાર અજાણ્યા શખ્સે પોતાની ઓળખ મહારાષ્ટ્ર ઓલ્ડ કોઈન કંપનીના પ્રતિનિધિ પ્રતાપસિંગ રાણા તરીકે આપી હતી. આ ગઠિયાએ ખેડૂતને પોતાની વાતોમાં એ હદે ભોળવી દીધા કે તેમની પાસે રહેલી ત્રણ નોટોના બદલામાં અધધ ₹૬૬ લાખ જેટલી માતબર રકમ આપવાની સોનેરી લાલચ આપી વિશ્વાસ જીતી લીધો હતો. ખેડૂતને પણ લાગ્યું કે તેમની વર્ષો જૂની નોટોથી તેમનું ભાગ્ય ખુલી જશે, પરંતુ તેઓ એ વાતથી અજાણ હતા કે તેઓ એક સુનિયોજિત સાયબર ઠગાઈના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે.
વિશ્વાસ સંપાદિત કર્યા પછી ઠગ ટોળકીએ પોતાનો અસલ રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. તેમણે ખેડૂતને જણાવ્યું કે આટલી મોટી રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે નિયમ મુજબ નોંધણી શુલ્ક, વસ્તુ અને સેવા કર, ફાઈલ મંજૂરી ખર્ચ સહિતના વિવિધ સરકારી ચાર્જ પેટે નાણાં જમા કરાવવા પડશે. ખેડૂતને જરાય શંકા ન જાય તે માટે આરોપીઓએ ભારતીય રિઝર્વ બેંકના સત્તાવાર પ્રતીકવાળા તદ્દન બનાવટી પ્રમાણપત્રો અને મંજૂરી પત્રો તૈયાર કરી ખેડૂતના મોબાઈલ ફોન પર મોકલી આપ્યા હતા. આ નકલી દસ્તાવેજોને અસલી માની ખેડૂતે આરોપીઓએ આપેલા જુદા-જુદા બેંક ખાતાઓમાં તબક્કાવાર રીતે કુલ રુ.૧૭,૦૧,૯૦૦ જેટલી તોતિંગ રકમ ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરી દીધી હતી.
પોતાની પાસે રહેલી તમામ મૂડી અને અન્ય વ્યવસ્થા કરીને લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં ખેડૂતના ખાતામાં વચન મુજબની કોઈ રકમ જમા થઈ ન હતી. વારંવાર પૂછપરછ કરવા છતાં ગઠિયાઓ વધુ ને વધુ નાણાંની માંગણી કરતા રહ્યા હતા, જેથી અંતે ખેડૂતને પોતાની સાથે વિશ્વાસઘાત અને આયોજનબદ્ધ છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
પોતે સાયબર અપરાધનો ભોગ બન્યાની ખાતરી થતાં ખેડૂતે સમય ગુમાવ્યા વગર તાત્કાલિક ભારત સરકારની રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક સાધી પ્રાથમિક ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમણે પોતાના તમામ બેંક વ્યવહારો અને પુરાવાઓ એકઠા કરી બેચરાજી પોલીસ મથકે રૂબરૂ પહોંચી ન્યાય માટે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
બેચરાજી પોલીસે આ બનાવને ગંભીરતાથી લઈ પ્રતાપસિંગ રાણા, સંજય શર્મા, રોહીત સિસોદીયા, લાલજીભાઈ પનીકા, મનિષકુમાર હરીસલાલ પટેલ અને નવલ ચંદેલ નામના ૬ ગઠિયાઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ માહિતી ટેકનોલોજી કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આંતરરાજ્ય ટોળકીના સભ્યોના બેંક ખાતાઓ સ્થગિત કરાવવા સહિત આ આખી જાળ ક્યાંથી ઓપરેટ થતી હતી તેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


