— ડાંગરવા માં સન.1952 માં એ.વી.સ્કૂલ ડાંગરવા શરૂ કરવામાં આવી :
— શિક્ષકોએ છ મહિના સુધી પગાર લીધા વિના નિશુલ્ક સેવા આપી :
— 18 ગામના બાળકો આ સંસ્થામાં માધ્યમિક શિક્ષણ લેવા આવતા થયા :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના ડાંગરવા ગામે સન.1952 ના વર્ષ શિક્ષણને ધગધગતું કરવા માટે 70 વર્ષ અગાઉ શાળાની શરૂઆત કરી હતી. તે વખતના કપરા સમયમાં શાળા શરૂ કરી ત્યારે શિક્ષકોએ છ મહિના સુધી પગાર લીધા વિના નિશુલ્ક સેવા આપી હતી. શાળાનું મકાન બનાવવા માટે અને શાળા જલ્દી ધગધગતી થાય તે હેતુથી અનેક દાતાઓ આગળ આવ્યા હતા. જેમાં ડાંગરવા ના ભીખાભાઈ પટેલ વિદ્યાર્થી તરીકે ત્યાં અભ્યાસ કરતા હતા અને બુટ પોલીસ કરી જે રકમ આવતી હતી તે શાળાને દાન કરતા હતા. આ ઉપરાંત વિસુભાઈ. બી.પટેલ, રેવાભાઇ શીવદાસ પટેલ, વિષ્ણુભાઈ અમથારામ પટેલ, અર્જુનસિંહ ડાભી અને ધરમચંદ ચોકસી વગેરે નાગરિકોના પ્રયત્નોથી સ્કૂલનો વિકાસ તથા સર્વોદય હાઈસ્કૂલમાં ઉપરોક્ત સંસ્થા નું રૂપાંતર થયું અને ડાંગરવા
જુથ કેળવણી મંડળની રચના કરવામાં આવી હતી.જેથી દાતાઓ અને ગામજનોના સહયોગથી શાળા શરૂ થઈ ગઈ હતી. અને આજુબાજુના 19 થી વધારે ગામડાના લોકો ત્યાં અભ્યાસ કરતા થયા.

કડી તાલુકાના કૈયલ ગામના જી.એમ.ગાંધીએ શાળાના બાંધકામ માટે પોતાની જમીન દાનમાં આપી દીધી. જેમાં આજે અધતન સુવિધાઓ વાળા બે મકાનો બાંધવામાં આવ્યા છે.ડાંગરવા ગામ સહિત આસપાસના લગભગ 18 ગામના બાળકો આ સંસ્થામાં માધ્યમિક શિક્ષણ લેવા આવતા થયા. ડાંગરવા ગામમાં ભાડાના મકાનમાં સ્કૂલ ચાલતી હતી. ત્યારે સને 1957માં ઉપરોક્ત મકાન તૈયાર થતા શાળા ત્યાં શરૂ કરવમાં આવી હતી.આ બાંધકામના ઓરડા લગભગ રૂપિયા 1,69,000 ના ખર્ચે લોકફાળાથી તથા સ્વ.નરસિંહદાસ ભાઈચંદદાસ પંચાલના દાન થી તૈયાર થયા હતા. આ મકાન 20 ખંડોનું બન્યું હતું. ત્યારબાદ ઉત્તરોતર સંખ્યા વધતા પ્રાથમિક વિભાગ શરૂ કરવામાં આવ્યો. તેથી વધારાના ખંડોની જરૂરિયાત ઊભી થઈ મુંબઈમાં વસતા ડાંગરવાના નાગરિકોએ ઉપરાંત બાબુભાઈ શાહ અને વિસુભાઈ પટેલની આગેવાની હેઠળ મકાન માટે લગભગ ₹60,000 નું ફંડ ભેગું કર્યું.
જેનાથી પ્રાથમિક વિભાગ માટે 10 ખંડોનું અલગ મકાન તૈયાર થયું.ડાંગરવા ના વતની અને હાલ કલોલ નિવાસી પ્રહલાદભાઈ ગજ્જર એ શાળામાં પાણીની ટાંકી બંધાવી આપી જેના લીધે પાણીની સમસ્યા હલ થઈ ગઈ હતી.સન 1965 થી પ્રાથમિક વિભાગ શરૂ કર્યો અને 1976 માં હાયર સેકન્ડરી સાયન્સ અને કોમર્સના બે વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. આમ ડાંગરવા સહિત આજુબાજુના 18 ગામોના બાળકો શિક્ષણથી
વંચિત ન રહે તેવા ઉમદા વિચાર સાથે ડાંગરવા જુથ કેળવણી મંડળે સતત પ્રયત્નો કરી સાચા અર્થમાં સરસ્વતી ધામ બનાવ્યું.આ સરસ્વતી ધામનું ખાતમુર્હત લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકરજી ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ તત્વચિંતકો એવા કે.કા.શાસ્ત્રી, ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ તેમજ પરમ પૂજ્ય રવિશંકર મહારાજ, સામાજિક અને રાજકીય નેતાઓનું આ સંસ્થાને સતત માર્ગદર્શન અને પ્રેરણા મળી રહી છે હાલ ધમધમતા શિક્ષણ સંસ્થામાં ઉપપ્રમુખ, મંત્રી, આચાર્ય અને સ્ટાફ મિત્રોના સહયોગથી દાતાઓ દ્વારા મલ્ટીમીડિયા કોન્ફરન્સ રૂમ, અધતન પ્રાર્થના હોલ નું નિર્માણ થઈ રહ્યું છે. શાળામાં સોલર સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.

કોમ્પ્યુટર સેન્ટર, ડિજિટલ રુમ અને સીસીટીવી કેમેરા થી શૈક્ષણિક સંકુલ સજ્જ છે. પ્રાર્થના હોલના મુખ્ય દાતા નરેન્દ્રભાઈ બી પટેલ અને સહપરિવાર તેમજ સહયોગી દાતા ઓએનજીસી મહેસાણા છે. સોલર સિસ્ટમના દાતા નારણભાઈ પટેલ અને ભીખાભાઈ પટેલ છે. શાળાના કલરકામના દાતા અમૃતભાઈ, રસિકભાઈ, છોટુભાઈ છે.તેમજ બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને પ્રોસાહિત ઇનામ રાજેન્દ્રસિંહ.એસ ડાભી તરફથી દર વર્ષે આપવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન અને એન્યુઅલ ફંકશન ની ઉજવણી કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને પ્રોસાહિત કરવા મોટીવેશન સેમિનાર રાખવામાં આવે છે અને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.આ શાળામાંથી ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો, પોલીસ અધિકારીઓ, લશકરી ના ત્રણેય દળોમાં તેમજ દેશ વિદેશમાં બિઝનેસમેન તરીકે કર્મ કરી રહ્યા છે. અને પોતાની શાળાનું ઋણ ચૂકવી રહ્યા છે. એવી એન.બી પંચાલ હાઈસ્કૂલ ડાંગરવાનો ઇતિહાસ આજે પણ એટલો ભવ્ય છે સંસ્થાના ઉપપ્રમુખ દિલીપસિંહ ડાભી, મંત્રી ભક્તિભાઈ આર પટેલ અને આચાર્ય સુરેશભાઈ પી પટેલ તેમજ કારોબારી સભ્યો અને સ્ટાફના સાથ સહકારથી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે . આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલ વિદેશમાં સ્થાયી થયેલ છે. તેમનો સહયોગ આજે પણ આ શાળાને મળતો રહે છે.