ગરવી તાકાત રાધનપુર : રાધનપુર થી સામખયારી નેશનલ હાઈવે નંબર 27 પર અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે ત્યારે સોમવારના વારાહી પીપળી વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવાર ના બપોરે ભુજ થી ખેરાલુ જઈ રહેલી સરકારી એસટી બસ વારાહી થી રાધનપુર તરફ આવતી હતી ત્યારે મોટી પીપળી નજીક ખખડધજ હાઈવેના ખાડા રીપેરીંગ કામ કરતા રોડ રોલર વચ્ચે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં બસમાં રહેલ ડ્રાઇવર સહિત 20 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા એસટી બસના મુસાફરોને બસમાંથી બહાર કાઢી 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા.
રાધનપુર હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર આપવામાં આવી હતી હાઇવેનું સમારકામ કરવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ હોય વાહન ધીમે ચલાવો જેવા સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ના હોવાને કારણે અકસ્માત સર્જાયા નું પ્રાથમિક તારણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જ્યારે હાઈવે રિપેરિંગની કામગીરી કરતા રોડરોલરની નંબર પ્લેટ પણ લાગેલી ના હોવાનું બસના મુસાફરે જણાવ્યું હતુ.


