ગરવી તાકાત બનાસકાંઠા અહેવાલ. નવીન ચૌધરી. સુઇગામ
નવાપુરા નજીક ગરનાળા ની સાઈડ માંથી સરકારી દવાનો જથ્થો ફેંકાયેલી હાલતમાં જોવા મળ્યો.
એક માસ અગાઉ કોઈ આરોગ્ય કર્મીઓએ એક્સપાયરી ડેટની દવાઓનો મોટો જથ્થો જાહેરમાં ફેંકી દીધો હોવાનું અનુમાન
બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકામાં આરોગ્ય વિભાગ જાણે ખાડે ગયેલું હોય તેવી રીતે દેખાય છે ત્યારે સોમવારે સવારે એક જાગૃત નાગરિક દ્વારા મળેલ માહિતી અનુસંધાને સુઇગામ રાધનપુર સ્ટેટ હાઇવે પર આવેલ નવાપુરા ગામના પાટિયા પાસે આવેલ પુલની સાઈડમાં સ્થળ તપાસ કરતાં મોટી માત્રામાં એક્સપાયરી ડેટની દવાનો જથ્થો જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને સરકારી દવાખાનાઓમાં મળતી ટેબલેટ્સ હતી, સાથે કોરોના સમયે ટેસ્ટ માટે વપરાતા VTM જોવા મળ્યા હતા, 2021 થી 2023 સુધી વપરાય તેવી દવાઓનો જથ્થો આટલા સમય સુધી ક્યાં સંગ્રાહાયો હતો? અને આ એક્સપાયરી ડેટની દવાઓ કેમ મેડિકલ વેસ્ટમાં પરત ના મોકલાવી? એ તપાસનો વિષય છે, બે વર્ષ સુધી એક્સપાયરી ડેટની દવા શુ સરકારી દવાખાના ઓમાં પડી રહી? કે પછી કોઈ આરોગ્ય કર્મચારીના ઘરમાં પડેલી હતી? કોથળો ભરાય એટલી માત્રામાં ટેબ્લેટ અને અન્ય દવાઓ જાહેરમાં કોણે ફેંકી? કેમ મેડિકલ વેસ્ટમાં જમા કરાવવાના બદલે જાહેરમાં ફેંકી તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? અગાઉ પણ સુઇગામ નજીક જલોયા જવાના રસ્તે આ રીતે સરકારી દવાઓનો મોટો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો,ઉપરાંત મોરવાડા ગામ નજીકથી પણ સરકારી એક્સપાયરી ડેટની દવાઓ મળી આવી હતી,એ અંગે શુ તપાસ કરાઈ? દોષીતો વિરુદ્ધ શુ કાર્યવાહી કરાઈ? અને હાલે નવાપુરા નજીકથી મળેલ દવાઓના જથ્થા બાબતે તપાસ થશે કે અગાઉની જેમ ભીનું સંકેલવામાં આવશે? આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ ફિલ્ડમાં જવાના બદલે કાગળ પર કામગીરી બતાવી આ રીતે તેમને ફાળવવામાં આવેલ દવાઓ બિન વપરાશ થાય ત્યારે નિકાલ કરતા હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં? એક બાજુ સુઇગામ CHC માં આરોગ્ય સેવા કથળી હોવાના કારણે અરજદારોમાં કચવાટ જોવા મળ્યો હતો,ત્યારે સૂઇગામ તાલુકાની 5 PHCમાં પણ આરોગ્ય સેવાઓની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે,ત્યારે મળેલ સરકારી દવાઓ વિશે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે,..

