શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં 1 લાખથી વધુ ચૌધરી-આંજણા સમાજના લોકો જોડાયા
ગરવી તાકાત, પાલનપુર તા. 02 – પાલનપુરમાં મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા જેથી આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રિ-દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.5 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે.ત્યારે આજે પાલનપુરના અર્બુદાધામ ખાતેથી 1 હાથી 21 ઘોડા, પાલખી સાથે દેશી વાજિંત્રો અને 3 લાઈવ ડીજેના તાલે પાલનપુર શહેરમાં શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રામાં ચૌધરી સમાજના લાખો લોકો પોતાના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને નાચગાન કરતા જોડાયા હતા. 
પાલનપુર શહેરમાં 5 કિલોમીટર લાંબી શોભાયાત્રાના કારણે સમગ્ર પાલનપુર શહેર ભક્તિમય રંગથી રંગાયું હતું.જેમાં શહેરના તમામ માર્ગો ઉપર અનેક સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડી. વાય.એસ.પી 1, પી.આઇ 4, પી.એસ.આઇ 14, પોલીસ 250 જવાનો અને 15 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા આ શોભાયાત્રા પાલનપુરના વિવિધ માર્ગો ઉપર ફરીને જ્યાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાવાનો છે ત્યાં લાલવાડા ખાતે 12 કિલોમીટરનું અંતર કાપી પહોંચી ત્યાં તેનું સમાપન કરાયું હતું.


