ગરવી તાકાત, પાટણ, તા. 1.3 – પાટણ જિલ્લાના છેવાડાના ગામડાના ખેડૂતો પણ હવે ખેતીમાં અનેક પ્રયોગો કરી રહ્યાં છે. વિસ્તારની પાણીની સમસ્યાનું જાતે જ સમાધાન શોધીને પાટણના ખેડૂતે જાતજાતના ફળોનું ઉત્પાદન કર્યું છે. સમી તાલુકો વઢિયાર પંથક તરીકે ઓળખાય છે. આ પંથકે હંમેશા પીવાના પાણીની સમસ્યા જોઈ છે. પાણીની સમસ્યા સામે ઝઝુમતા વિસ્તારના લોકો માટે પાણી મેળવવુ એટલે અમૃત મેળવવા સમાન છે. ત્યારે આ જમીન પણ ક્ષારવાળી હોય ત્યારે શું ઉગાડવું તે પણ ખેડૂતોનો મોટો પ્રશ્ન હોય છે. ત્યારે સમીના કાઠી ગામના એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી ખારા પટના રણમાં પણ હરિયાળી ફેલાવી છે. સાથે સારી એવી ખેત પેદાશ મેળવી લાખોની કમાણી પર કરી રહ્યા છે.

ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કર્યો
પાટણ જિલ્લાના સમી તાલુકાના કાઠી ગામના ખેડૂત ગોવાભાઈએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે જેના કારણે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને આજ તલાવડી માંથી પોતાની 10 વીઘા જમીનમાં લીંબુ સહીત વિવિધ વૃક્ષનું ઉછેર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે, જેમાં ગોવાભાઈએ થાઈલેન્ડના લીંબુની જુદીજુદી જાતો સીતાફળ, જામફળ, પપૈયા,આંબા સહીતની ખેતી કરી છે. ખારા પટના વિસ્તારમાં જ્યાં ગાંડા બાવળ સિવાય કઈ જોવા પણ ના મળે તે વઢિયાર પંથકમાં હરિયાળી કરી છે. ને અન્ય ખેડૂતોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.

પાણીના અભાવને લઇ પાક ઉત્પાદન જોઈએ તેવું મળતું ન હતું
પાટણ જિલ્લાના સમી તાલુકામાં ખારા પટની જમીન અને પાણીની વિકટ સમસ્યાને અન્ય પાક વાવેતરમાં ખેડૂતોને સારી ઉપજ રહેવા પામી નથી. જેને લઇ સમી તાલુકાના કાઠી ગામના પ્રગતિશીલ ખેડૂત ગોવાભાઈ ચુડાસમાને કાઠું કાઢ્યું છે. તેઓ અગાઉ ઘઉં, કપાસ જુવાર, બાજરી સહિતના પાકના વાવેતર કરતા હતા. પણ આ વિસ્તારની ખારા પટની જમીન અને પાણીના અભાવને લઇ પાક ઉત્પાદન જોઈએ તેવું મળતું ન હતું અને આર્થિક બોજ પણ વધતો હતો. ત્યારે ગોવાભાઈ બાગાયતી ખેતી તરફ વળ્યાં અને પ્રથમ દેશી લીંબુના વાવેતર અંગે માહિતી મેળવી હતી ત્યાર બાદ તેઓએ લીંબુના થોડા છોડ લાવી તેનું વાવેતર કર્યું અને તેની માવજત કરતા સારો ઉછેર થતા ઉત્પાદન પણ સારું રહ્યું અને આવક પણ સારી મળી. ત્યાર બાદ ગોવાભાઈએ દેશી લીંબુ, થાઈલેન્ડ લીંબુના 900 જેટલાં છોડ લાવી 10 વીઘા જમીનમાં વાવેતર કર્યું.

એક લીંબુના છોડ પરથી 100 કિલોનું ઉત્પાદન
આજથી પાંચ વર્ષ પહેલા અને આ છોડની માવજત કરી સાથે ખેતરમાં ખેત તળાવડી બનાવી હતી. તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તે પાણીનો ઉપયોગ પાક વાવેતરમાં કરવા લાગ્યા. તેમજ કુદરતી ખાતરના ઉપયોગ થકી લીંબુનો પાક તૈયાર કર્યો અને આજે સારુ ઉત્પાદન મેળવી રહ્યા છે. ગત વર્ષે ગોવાભાઈએ એક લીંબુના છોડ પરથી 100 કિલોનું ઉત્પાદન થતા વર્ષ દરમ્યાન કુલ રૂપિયા 4 થી 5 લાખની આવક મેળવી હતી અનેહાલ માં ઉનાળાની સિઝન ચાલી રહી છે જેને લઈ લિબુ ની માંગ પણ વધી છે ત્યારે ચાલુ વર્ષે પણ સારુ એવું ઉત્પાદન રહેવાની આશા રાખી રહ્યા છે.