ગરવી તાકાત કડી ઃ 19-8-2026
કડી તાલુકામાં જુલાઈ માસના અંતમાં પડેલા ૧૫ ઈંચથી વધુ ભારે વરસાદના ૨૦ દિવસ બાદ પણ પીરોજપુર ગામની ફરતે વરસાદી પાણી ભરાયેલા રહેતાં ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાખરીયા ટપ્પા અને થોળ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફાર્મ હાઉસના ગેરકાયદે બાંધકામોને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગો બંધ થઈ જતાં ગામની સીમ અને રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. લાંબા સમયથી ભરાયેલા પાણી કાળા પડી ગયા છે અને ઠેર-ઠેર લીલ જામી જતાં સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી ખદબદી રહ્યો છે.
કડી-થોળ રોડ પર આવેલા પીરોજપુર ગામના ગોગા મહારાજના મંદિર તેમજ આસપાસના પ્રજાપતિ વાસના રહેણાંક મકાનોની ફરતે ગંદા પાણી અને કચરાના ઢગ જામ્યા છે. આ ગંદકીના કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરવાને બદલે માત્ર કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. આ મામલે તલાટી દર્શનાબેન જાદવે જણાવ્યું હતું કે, સીમ વિસ્તારમાં ભરાયેલા પાણી તેમજ ગામમાં ફેલાયેલી ગંદકીના નિકાલ માટે વહેલી તકે સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.


