ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા 14 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2000થી વધુ NSS વોલન્ટિયર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યાત્રાની શરૂઆત યુનિવર્સિટી મેઇન ગેટ થી કરી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ.

તિરંગાના ઝંડા અને દેશભક્તિના નાદ સાથે સમગ્ર વિસ્તારમાં દેશપ્રેમનો માહોલ સર્જાયો. “વંદે માતરમ” અને *“ભારત માતા કી જય”*ના નાદોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. આ પ્રસંગે યુનિવર્સિટી પ્રમુખશ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. પી. એમ. ઉદાણી,

રજિસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી, તમામ ડીન્સ, પ્રિન્સિપલ્સ તેમજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની તમામ સંલગ્ન સંસ્થાના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા. આ તિરંગા યાત્રાનો હેતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને તિરંગાની મહિમાનો સંદેશ પ્રસરાવવાનો હતો, જે વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત કરે છે.


