ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી અને દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાયની જાહેરાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: “ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે.

જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના સગાસંબંધીઓને PMNRF તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસ પર છે.
અને તેઓ આજે સવારે જ તેમના અંતિમ મુકામ નામિબિયા પહોંચ્યા હતા. આ દુ:ખદ ઘટના આજે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે આણંદ અને વડોદરાને જોડતો મહિસાગર નદી પરનો પુલ નીચે ઉતરી ગયો હતો, જેના કારણે અનેક વાહનો નીચે નદીમાં ખાબક્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 9 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.




