મહેસાણામાં ગાયોના ત્રાસથી મુક્તિ માટે પૂર્વ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતિક ઉપવાસ પર ઉતરશે
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા શહેરના તમામ મુખ્ય માર્ગ પર ગાયો અડીંગો જમાવીને વચ્ચોવચ બેસતી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તો ક્યારેક રસ્તે રખડતાં પશુઓ આખલાઓ રાહદારીઓ અડફેટે પણ લઇ રહ્યા છે. આમ છતાં મહેસાણા પશુઓના આ ત્રાસથી બચવા ઢોર પકડવાની કાર્યપદ્ધતિ પર રોક લાગેલી જોવા મળી રહી છે. અગાઉ પણ ગાયો અને આખલાનો ભોગ અનેક વાહનચાલકો તેમજ રાહદારીઓ બની ચૂક્યાં છે. ત્યારે આ બાબતે ઢોરોના ત્રાસથી શહેરીજનોને મુક્તિ મળે તે માટે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
![]()
મહેસાણા મામલતદારને આપેલા આવેદનમાં જણાવાયું છે કે, મહેસાણા શહેરમાં મોઢેરા રોડ, રાધનપુર રોડ, મહેસાણા હાઇવે પર ગાયો રોડ રસ્તા બ્લોક કરી દીધા છે. પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. મહેસાણા શહેરના નાગરીકોને ગાયો દ્વારા ઇજાઓ પણ પહોંચી છે. ગાંધીનગરથી આવેલા કોન્ટ્રાકટરોની મિલીભગતના કારણે પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે. આથી વેરો ભરતી પ્રજાના હિતમાં તા. 12-9-2024થી 13-9-2024 પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ફરજ પ્રજા માટે પડી રહી છે. તો આપ મામલતદાર ધૃતરાષ્ટ્ર બની ગયેલી નગરપાલિકાના વહીવટદારો સામે પ્રતિક ઉપવાસ પર બેસવાની પરમીશન આપવા અરજી કરી છે. તારીખ 12થી બપોરે 3થી 13 તારીખ સવારે 12 વાગ્યા સુધી તોરણવાળી ચોકમાં સીટી બસ સ્ટેન્ડ પાસે ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.


