પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના, રાજ્ય સરકારે હેક્ટર દીઠ ચૂકવશે આટલા હજારની સહાય
શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે
ગરવી તાકાત, ગાંધીનગર તા.09 – દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલા હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે.

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે.


