માતેલા સાંઢનીજેમ બેફામ કાર હંકારી ટક્કર મારતાં 27 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યોં
કારની જોરદાર ટક્કરથી એક્ટીવાનો ફુરચે ફુરચા નીકળી ગયા
ગરવી તાકાત, અમદાવાદ તા. 31 – રોજબરોજ સર્જાતાં અકસ્માતમાં અનેક નિર્દોષ નાગરીકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. જેમાં અમદાવાદના એસ.જી હાઇવે પર નવા સોલા બ્રીજ પાસે એક નિર્દોષ એકટીવા ચાલકને બેફામ આવતાં કારના ચાલકે ટક્કર મારી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ બાબતે મૃતકના પરિવારજનોએ ચાંદલોલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત થતાં અહેવાલો મુજબ ગોતા વંદે માતરમ હિલ્સ ખાતે રહેતા જયન વિજયભાઇ ઠાકર ઉ.વ. 27 જેઓ ગુરુવારે રાત્રિના બે વાગ્યાના સુમારે પોતાનું એકટીવા લઇ એસજી હાઇવે રોડ સોલા નવા બ્રીજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની જેમ બેફામ કાર હંકારી રહેલા હુન્ડાઇ વર્ના કાર ચાલકે એકટીવા ચાલક જયનભાઇ ઠાકરને પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં જયનભાઇ એકટીવા લઇને નીચે પટકાતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારના ચાલકની જોરદાર ટક્કરથી એકટીવાનો ખુદડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં 27 વર્ષીય જયન ઠાકરનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. વર્ના કારના ચાલક વિરુદ્ધ મૃતક જયન ઠાકરના મામાના પુત્ર ઉગમ પ્રદ્યુમનભાઈ ઉપાધ્યાયની ફરિયાદ આધારે ચાંદલોડીયા ખાતે અનમોલ રેસીડન્સીમાં રહેતાં કાર ચાલક પાર્થ પ્રવિણભાઈ કાંઝીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
મહત્વની બાબત છે કે, અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્દ પોલીસ કડક કાર્યવાહી કરવામાં કુણુ વલણ અપનાવી ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે અકસ્માતમાં મોત નિપજાવનાર શખ્સ વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે તેવી મૃતકના પરિવારજનોની માંગ છે.