ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ પાસે રૈતોલીમાં બદ્રીનાથ હાઈવે પર મુસાફરોને લઈને જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર વાહન અલકનંદા નદીમાં ખાબકતા 8 મુસાફરોના મોત થયા છે. આ વાહનમાં કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસડીઆરએફને જાણ થતા જ ઘટનાસ્થળે ટુકડી પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવાતા બે ઈજાગ્રસ્તોને બચાવી લેવાયા છે.
ઘટનાની જાણ થતા જ વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રુદ્રપ્રયાગ પહેલા આ ઘટના ઘટી, વાહન સીધુ ઊંડી ખાઈમાં પડતા અલકનંદા નદીમાં ખાબકી ગયું. વાહન જેવું નીચે પડ્યું કે મુસાફરોએ બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકોને જાણ થતા તરત ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને સૂચના આપી હતી. જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોની મદદથી રેસ્ક્યૂ વર્ક શરૂ કરાયું.
અકસ્માતનો ભોગ બનેલું વાહન ઉત્તર પ્રદેશના નોઈડાથી મુસાફરોને લઈને જઈ રહ્યું હતું. આ લોકો નોઈડાથી ચોપતા તુંગનાથ જઈ રહ્યા હતા. વાહનમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હોવાનું કહેવાય છે. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે જો કે હજુ 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.