ગરવી તાકાત, મહેસાણા તા. 29- ગુજરાતની હોસ્પિટલોમાં આંખો આવવાની અનેક કેસોં નોંધાઇ રહ્યાં છે જેમાં અમદાવાદમાં આ કેસો મોંખરે છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ લોકો અખીયા મિલાકે રોગનો ભોગ બની રહ્યાં છે. જો કે તેની દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાથી આરામથી બે ત્રણ દિવસમાં રાહત મળી જાય છે. ત્યારે કેટલાક લોકો આંખો આવવાથી તેના ઉપચાર તરીકે ટોટાનો ઉપયોગ કરી રહ્યાં છે જે આંખો માટે હાનિકારક છે.

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કન્જક્ટિવાઇટિસના ચેપમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં 80થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં અંદાજે 15 હજાર જેટલા કેસ નોંધાયા છે ત્યારે બજારમાં આંખ માટે વપરાતી આઇકેપ્સ જેને આંખના ટોટા કહેવાય છે એ વાપરતા પહેલાં ચેતી જજો. કારણ કે, આવા આંખના ટોટા નુકસાન પહોંચાડી શકે છે. શહેરમાં 15 દિવસથી કન્જક્ટિવાઇટિસના કેસ વધી રહ્યા છે. પ્રાઇવેટ ક્લિનિકમાં પણ રોજ 8થી 10 કેસ નોંધાઈ રહ્યા છે. જો કે, કેટલાક લોકો આંખ આવતા બજારમાં વેચાતા આંખના ટોટાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તેનો ઉપયોગ આંખને નુકસાન પહોંચાડી શકે છે.
જાણીતા ફિઝિસિયન ડો. જણાવે છે કે, ‘જે આંખના ટોટા કરિયાણાની દુકાનમાં વેચાતાં હોય છે. તેનાથી લોકો અજાણ હોય છે. પરંતુ આવા આંખના ટોટા ડોક્ટર્સની સલાહ વગર ન વાપરવા જોઈએ. જો તમને આંખમાં દુઃખાવો થાય છે કે આંખ લાલ થાય છે અને જો તમારે પ્રાઇવેટ ડોક્ટર્સ પાસે જવાની સ્થતિ નથી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં આઇ ડ્રોપ્સ આપવામાં આવે છે તે લેવા જોઈએ. ત્યાં તમામ પૂરતી વ્યવસ્થા છે. બજારમાં વેચાતી આઇ કેપ્સ નાખવાથી ઘણા કોમ્પ્લિકેશન થાય છે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘આવી આઇકેપ્સ અજાણતા કોઈપણ પ્રકારના માર્ગદર્શન વગર ન નાંખવી જોઈએ. તે ક્યારેક જોખમી સાબિત થઈ શકે છે. આવી આઇકેપ્સ વાપરવા કરતાં તમારા ડોક્ટર્સ જે આઇડ્રોપ્સ સજેસ્ટ કરે તેનો ઉપયોગ કરવો જોઈએ. આવી આઇકેપ્સ સામાન્ય રીતે જૂના સમયમાં વપરાતી હતી. આવી આઇકેપ્સ કરિયાણાની દુકાનમાં પણ મળી જતી હોય તે એટલું હાઇજેનિક હોતું નથી. આ પ્રકારે આઇકેપ્સ વાપરીને સિવિયર કન્ડિશન સાથે આવનારા દર્દીઓ પણ વધી રહ્યા છે.’


