મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરાની ઘટના : અગાઉ ડ્રાઈવર તરીકે કામ કરતા બે શખસો સામે ફરિયાદ, દારૂની ટેવના કારણે નોકરીમાંથી છૂટા કરાયા હોવાનો આક્ષેપ
મહેસાણા: મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરા ગામે જૂની અદાવતના પગલે કારનો આગળનો કાચ ઈંટ-રોડા મારીને તોડી નાખી કારના ડ્રોઅરમાંથી રોકડા ₹50 હજાર ચોરી કરી બે શખસો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. કારના કાચને આશરે ₹5 હજારનું નુકસાન થયું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
પાંચોટ આનંદપુરામાં રહેતા મહેશભાઈ માધવલાલ પટેલ ખેતી ઉપરાંત સ્કૂલવાનનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ, તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં તેઓ બાળાવીર મંદિર પાસે સ્મશાનના ગેટ આગળ પોતાની અલ્ટો કાર લઈને ઊભા હતા. તે દરમિયાન તેમની વાનનો ડ્રાઈવર અરવિંદજી ઠાકોર ઈકો ગાડી લઈને ત્યાં આવ્યો હતો. લેવડ-દેવડના કામે સાથે જવાનું હોવાથી વરસાદ અને ઉતાવળના કારણે મહેશભાઈ કાર લોક કર્યા વગર જ અરવિંદજી સાથે નીકળી ગયા હતા.
થોડીવાર બાદ પરત ફરતાં કારનો આગળનો કાચ ઈંટ-રોડા મારીને તોડી નાખવામાં આવ્યો હોવાનું જણાયું હતું. કારનું ડ્રોઅર તપાસતા તેમાં રાખેલા રોકડા ₹50 હજાર પણ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
અગાઉ બંને ડ્રાઈવર તરીકે કામ કરતા હતા
ફરિયાદમાં મહેશભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેઓ કાર મૂકીને ગયા ત્યારે સ્થળથી આશરે 100 મીટર આગળ ‘માં’ લખેલી સફેદ રંગની ઈકો ગાડી ઊભી હતી. તેમાં સંદીપભાઈ હરિભાઈ ઠાકોર અને નિકુલજી ઉર્ફે સેંધાજી વિષ્ણુજી ઝાલા બેઠેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, આ બંને અગાઉ મહેશભાઈની ગાડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. બંનેને દારૂ પીવાની ટેવ હોવાના કારણે તેમજ ₹18 હજારની લેવડ-દેવડના મામલે આશરે ચાર મહિના અગાઉ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. આ જૂની અદાવતના કારણે બંનેએ કારના કાચમાં તોડફોડ કરી ડ્રોઅરમાંથી ₹50 હજારની ચોરી કરી હોવાનો મહેશભાઈએ આક્ષેપ કર્યો છે.
આ મામલે મહેશભાઈ માધવલાલ પટેલે સંદીપભાઈ હરિભાઈ ઠાકોર અને નિકુલજી ઉર્ફે સેંધાજી વિષ્ણુજી ઝાલા સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં ખરેખર ₹50 હજારની ચોરી કોણે કરી અને કારના કાચમાં તોડફોડ કોણે કરી તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.


