ભવ્ય ચાંદીના રથમાં બિરાજેલાં માતાજીની સવારી સવારે 8.15 નિજ મંદિરેથી નીકળી હતી. જેમાં 165 થી વધુ વિશેષ ઝાખીઓ જોવા મળી
ઊંઝામાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા, મા ઉમિયા ખુદ આર્શીવાદ આપવા નીકળ્યા
ગરવી તાકાત, ઊંઝા તા. 05 – મેહસાણાના ઊંઝામાં કડવા પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાની નગરની યાત્રા એટલે કે નગરચર્યા રંગે ચંગે નીકળી હતી. જેમાં હાથી, ઘોડા, બગીઓ સહિત મોટી સંખ્યામાં કડવા પાટીદાર સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. આ નગરચર્યા સમગ્ર ઊંઝા શહેરમાં ફરી હતી.

ઊંઝામાં આવેલા વિશ્વભરના કડવા પાટીદારો સમાજના કુળદેવી મા ઉમિયાના મંદિરેથી દર વર્ષે વૈશાખ સુદ પુનમે એટલે આજે માતાજીની ભવ્ય નગરયાત્રા ભારે રંગે ચંગે કાઢવામાં આવી હતી. જે મુજબ આજે માતાની નગરયાત્રા નીકળી હતી. આ માટે ઊંઝાવાસીઓએ ઠેરઠેર માતાજીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી હતી. ભવ્ય ચાંદીના રથમાં બિરાજેલાં માતાજીની સવારી સવારે 8.15 નિજ મંદિરેથી નીકળી હતી. જેમાં 165 થી વધુ વિશેષ ઝાખીઓ જોવા મળી. હાથી, ઘોડા, બગીઓ, સ્કૂટર સવાર, બેન્ડબાજા, ધ્વજપતાકા, રાસમંડળી, ખડકવાડી, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.
ઉમિયા ધામના પ્રમુખ બાબુ જમના પટેલે જણાવ્યું કે, આ નગર યાત્રાનું અનેરું મહત્વ પાટીદાર સમાજમાં છે અને દર વર્ષે આ પ્રણાલી ઉંઝા ઉમિયા માતા મંદિર દ્વારા કરવામાં આવે છે. આ દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા પાટીદાર સમાજના લોકો ઉંઝા ખાતે આવીને માં ઉમિયાના દર્શન કરીને ધન્ય બને છે.
મેહસાણાના ઊઝા માં ઉમિયા માતા સંસ્થાન દ્વારા માતાજીના રથ તેમજ ભાવિકોને વહેંચવા માટે ૨પ૦૦ કિલો પ્રસાદ બનાવવા સહિતની તૈયારીઓ કરી હતી. જેમાં નગરજનો ઘરના દ્વારે આસોપાલવના તોરણ બાંધીને આજે ઉજવણી કરે છે. માં ઉમિયા ખુદ આજે ઉંઝાના રહીસોને દર્શન આપવા નીકળતા હોઈ પાટીદાર સમાજ સહિત સભ્ય તમામ સમાજો માં ઉમિયાના દર્શન આજે કરીને ધન્ય બને છે. જ્યારે આજે ઊંઝાનો તમામ વિસ્તાર આજે બંધ રહે છે.


