— દુધરેજના વડવાળા મંદિર ધામ ખાતે મુખ્યમંત્રીનો સન્માન સમારોહ
— સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે વડવાળા દેવ પ્રાગટ્ય દિને મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવતા વડવાળા મંદિર-દૂધરેજ ધામ અને સમસ્ત રબારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું વિશેષ સન્માન કરવા માટે સન્માન સમારંભ યોજાયો હતો.
— વડવાળા દેવ પ્રાગટય દિને મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રૂ.3 કરોડ ફાળવવામાં આવતા રબારી સમાજ દ્વારા વિશેષ સમારોહ યોજાયો
ગરવી તાકાત સુરેન્દ્રનગર : સન્માન સમારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે જ્યારે સમગ્ર દેશ હોળી ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ હોળી મહોત્સવમાં દરેક સમાજે કુરીવાજ, વ્યસન, વેરઝેર રૂપી દૂષણોની પણ હોળી કરી શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આગળ આવવું જોઇએ. સર્વગ્રાહી, સર્વ સમાવેશી અને સમરસ વિકાસના રંગોથી આપણે આત્મ નિર્ભર ગુજરાતની નેમ પાર પાડવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસની સાથે સાથે આત્મ નિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારતના નિર્ણયને પાર પાડવા માટે પરિશ્રમનો મહિમા, શ્રદ્ધાનું બળ અને સાધુ સંતોના આશીર્વાદ એ મૂડી છે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રબારી સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહેલો સમાજ છે. રબારી સમાજ શ્રેષ્ઠ સમાજ છે અને બીજા સમાજો માટે પ્રેરણા બની રહેશે. રાજ્યમાં એક સમયે 11 યુનિવર્સિટી હતી જે આજે રાજ્ય સરકારના વિશેષ પ્રયાસો થકી 92 જેટલી યુનિવર્સિટી કાર્યરત છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ સત્તાને ધર્મ સત્તાનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળી રહે છે તે આપણી વિશેષતા છે. સંતો સમાજની ચિંતા કરી સમાજ અને વ્યક્તિઓના દુખો દૂર કરવા માટે પ્રવાસ ખેડી રહ્યા છે. વડવાળા ગુરુગાદી એ પણ ખૂબ સારા કાર્યો, હરહંમેશ કર્યા છે. કોઇપણ આપત્તિ સમયે પ્રજાજનોની પડખે ઊભા રહી સેવા કરવી તે ગુરુગાદીનો પ્રથમ ધર્મ રહ્યો છે.
મુખ્યમંત્રીએ કોરોના કાળમાં થયેલ સેવા કાર્યો અંગે જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્ય સરકારે પ્રજાજનોની પડખે ઊભી રહી અનેક સેવાકાર્યો થકી કોઇ પણ વ્યક્તિને કપરા કાળમાં ભૂખ્યાસુવા દીધા નથી. રાજ્ય સરકારની પણ પ્રજાજનો વચ્ચે ઊભા રહીને કાર્ય કરવાની અનોખી પદ્ધતિ છે.
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર પાસેના દૂધરેજ વડવાળા મંદિર ખાતે ભગવાન વડવાળા દેવના પ્રાગટ્ય દિન નિમિત્તે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ તકે મુખ્યમંત્રીનું પાઘડી, બંડી, લાકડી અને ગૌમાતાના પ્રતિકથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ઉમિયા મંદિરના પણ દર્શન કર્યા હતા.
— આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પૂર્વગૃહ રાજય મંત્રી રજનીભાઈ પટેલ, મહંત હરદેવદાસબાપુ, મહંત જગજીવનદાસજી, સ્વામી અનંતાનદજી મહારાજ-પંજાબ અગ્રણી સર્વ, જગદીશભાઈ મકવાણા, વિરેન્દ્રભાઈ આચાર્ય, વર્ષાબેન દોશી, અનિરૂધ્ધસિંહ પઢિયાર, રણછોડભાઈ રબારી, બાબુભાઇ દેસાઇ, અમરશીભાઈ રબારી, માવજીભાઈ દેસાઈ, અરજણભાઈ રબારી, ઘનશ્યામભાઈ સાવધરીયા, દેવશીભાઈ પઢેરીયા, ધરમશીભાઈ રબારી, અલ્પેશભાઈ સાંબડ, સંજયભાઈ દેસાઈ, હિરાભાઈ રબારી, અરજણભાઈ રબારી તેમજ મંદિરના સંતો સહિત રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


