ન્યુ દિલ્હી તા. ૧૫ – ગોધરા કાંડ દરમિયાન ગુજરાતમાં દંગા દરમિયાન બિલકીસ બાનુ પર સામુહિક દુષ્કર્મના દોષીઓને છોડી મુકવાનો વિવાદ હજુ ચાલે છે અને આ મુદો ફરી સુપ્રીમ કોર્ટમાં ગયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનમાં કોચ સળગાવી 59 જેટલા કારસેવકોને જીવતા સળગાવી દેવાના મામલામાં કોચ પર પથ્થરમારાના દોષમાં છેલ્લા 17 વર્ષથી જેલમાં રહેલા દોષીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે

જેની સામે ગુજરાત સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ કોઈ મામુલી પથ્થરમારાનો અપરાધ નહોતો. આ અંગેની વિગત એવી છે કે 27 ફેબ્રુઆરી 2002ના ગોધરામાં સાબરમતી એકસપ્રેસના એસ-6 કોચમાં દંગાઈઓએ આગ લગાડી દેતા ટ્રેનમાં સવાર 59 જેટલા કારસેવકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ પુરા રાજયમાં દંગા ભડકી ઉઠયા હતા. ટ્રેન પર પથ્થરમારા અને કોચ જલાવવાના મામલે આજીવન કારાવાસ ભોગવી રહેલ દોષીઓ પૈકી એક ફારૂકના સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા છે.
કોર્ટે જામીન એ જોઈને આપ્યા છે કે તે 17 વર્ષથી જેલમાં છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પી.એસ.નરસિમ્હાની પીઠે આ જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટના આ ફેસલા પર ગુજરાત સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ સૌથી મોટો અપરાધ હતો, જેમાં મહિલા, બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. મહેતાએ જણાવ્યું હતું કે આ કોઈ મામુલી પથ્થરમારો નહોતો. પથ્થરમારો એટલા માટે કરાયો હતો કે યાત્રીઓ બહાર ન આવી શકે.


