ગરવી તાકાત, તા. 27 – દેશમાં છોકરીઓ માટેની લગ્નની લઘુતમ ઉમર મર્યાદા 18 વર્ષથી વધારી 21 વર્ષની કરવાના મોદી સરકારના નિર્ણયનો કાનુની અમલ વિલંબમાં પડી શકે છે. સરકાર દ્વારા આ અંગેનો એક પ્રસ્તાવ હાલ સંસદીય સમીતી સમક્ષ વિચારણામાં છે અને સમીતીએ હવે આ અંગે વિવિધ પર્સનલ લો (મુસ્લીમ અને અન્ય સમુદાયના) આદીવાસી પરંપરા ઉપરાંત સામાજીક રીતે આ ઉમરમર્યાદા વધારવા મુદે વ્યાપક અભિપ્રાય મેળવવાનો નિર્ણય લીધો છે અને તેથી હવે સંસદના બજેટ સત્રમાં આ ખરડો રજુ થશે. ઉપરાંત સંસદીય સમીતીમાં આ અંગે અલગ અલગ મજબૂત અભિપ્રાય વ્યક્ત થયા છે. 
ખાસ કરીને શિક્ષણ, સામાજીક, કૌટુંબિક પરીસ્થિતિ ઉપરાંત મુસ્લીમ પર્સનલ લો અને આદીવાસી સમાજમાં જે રીતે નાની વયે લગ્ન સહિતની પરંપરા છે તેના સંદર્ભમાં આ કાનુન કઈ રીતે વ્યવહારુ બનાવી શકાય તેનો એક રિપોર્ટ મેળવાશે અને તેથી કમીટીએ તેનો રીપોર્ટ જે 24 જાન્યુઆરીના સુપ્રત કરવાનો હતો તે હવે ત્રણ માસ પછી રજૂ થશે. ઉપરાંત સામાજીક રીતે અભ્યાસ કરવા ટાટા ઈન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ અને આણંદ-ગુજરાતની ઈન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટને પણ પાયાના સ્તરે અભ્યાસ કરીને તેનો રિપોર્ટ આપવા જણાવાયુ છે. સરકાર આ ઉપરાંત બાળલગ્ન પ્રતિબંધીત ધારા- 2006ની જોગવાઈ પણ ચકાસશે.


