ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી હંમેશાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની સાથે સાથે ભારતીય યુવાનોમાં લોકકલાને પ્રોત્સાહન, સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને સામાજિક એકતાને વેગ આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે. જગત જનની માં અંબાના પાવન પર્વ નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2016 થી શરૂ કરાયેલો નવરાત્રી મહોત્સવ “થનગનાટ” આજે ઉત્તર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે અને વિદ્યાર્થીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ વર્ષે યુનિવર્સિટી ખાતે તારીખ 25 અને 26 સપ્ટેમ્બરના રોજ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપુર ગરબા મહોત્સવ “થનગનાટ-2025”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ અવસરે તારીખ 25 સપ્ટેમ્બરે પ્રખ્યાત લોકગાયિકામીરાન્દે શાહપોતાના સુરીલા સ્વરોથી ગરબાની રંગત વધારશે અને તારીખ 26 સપ્ટેમ્બરે લોકપ્રિય ગાયક અરવિંદ વેગડા પોતાના જુસ્સાદાર ગીતોથી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. યુનિવર્સિટી દ્વારા આયોજીત સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમમાં યુનિવર્સિટી અને સંલગ્ન સંસ્થાઓના 10000 થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ભાગ લેશે.સમગ્ર કેમ્પસને આકર્ષક સજાવટથી સજાવવામાં આવશે અને ખેલૈયાઓ માટે પરંપરાગત રંગીન વસ્ત્રો — ચણિયાચોળી, કેડીયા-ધોતી, દુપટ્ટા અને ઓઢણીને પ્રોત્સાહન આપવામાં આવશે, જે મહોત્સવમાં વધારાનો રંગ, ઉમંગ અને ભવ્યતા ઉમેરશે.

આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી એ માત્ર મા અંબાની આરાધના જ નહીં, પરંતુ ગુજરાતી સંસ્કૃતિ, ભક્તિ, શક્તિ અને ઉત્સાહનું પ્રતિક છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ‘થનગનાટ’ મહોત્સવ દ્વારા સમાજમાં સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન, એકતાનો સંદેશ અને યુવાનોમાં નવી ઊર્જા જાગૃત કરવાનો હેતુ છે. આ ભવ્ય નવરાત્રી મહોત્સવની તૈયારીઓ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. પી. એમ. ઉદાણી તથા રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી રહી છે.


