સદગુરુએ ઝેરી દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવા ખેડૂતોને અપીલ કરી
ગરવી તાકાત, તા. 12 – ઈસા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ વાસુદેવ જગ્ગી બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. સદગુરુ વાસુદેવે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે જિલ્લાના અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી. તેઓ થરાદના બુઢણપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા. માટી બચાવો અભિયાનના પ્રણેતા સદગુરુએ ગુજરાતના બોર્ડર પર આવેલા ગામના પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત કરી હતી. બાગાયતી ખેતીમાં કાઠું કાઢતા ખેડૂત અણદાભાઈ પટેલના ફાર્મ હાઉસની મુલાકાત પણ લીધી હતી. 
આ સાથે જ સદગુરુએ ઝેરી દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવા ખેડૂતોને અપીલ કરી. ઇષા ફાઉન્ડેશનના સદગુરુને નિહાળવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વાસુદેવ સદગુરુએ ભારત-પાકિસ્તાનની સીમા નડાબેટ પર ઝીરો પોઇન્ટ ઉપર પહોંચી સીમા દર્શન કરી બીએસએફના જવાનો સાથે પણ ચર્ચા કરી હતી. બનાસકાંઠા જીલ્લાની માટીની ગુણવત્તા સુધરે તે હેતુથી સદગુરુના માર્ગદર્શનમાં “સેવ ધ સોઈલ” કાર્યક્રમ હેઠળ બે દિવસીય માર્ગદર્શન કાર્યક્રમ અને વિવિધ સ્થળોએથી માટીના નમૂના એકત્રિત કરાયા હતા.


