ગરવી તાકાત, બનાસકાંઠા તા. 22 – બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં યોજાનાર અર્બુદા માતા રજતમહોત્સવની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે તે વચ્ચે આજે લાલાવાડા ખાતે તૈયાર થઈ રહેલી સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞની યજ્ઞ શાળામાં લીંપણની કામગીરી હાથ ધરાઈ.જે કામગીરીમાં સમગ્ર જિલ્લામાં વસતા આજણા -ચૌધરી સમાજની મહિલાઓ હજારોની સંખ્યામાં જોડાઈ અને પોતાનું શ્રમદાન કર્યું હતું. 
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા આંજણા ચૌધરી પટેલ કેળવણી મંડળ દ્વારા માં અર્બુદાનો રજત મહોત્સવ યોજનાર છે. આગામી ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જ શરૂ થનારા મહોત્સવની તમામ પ્રકારની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
પાલનપુરના લાલાવાડા ખાતે ત્રીદિવસીય સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ યોજાનાર છે. જેને લઇ 7 માળની વાંસની યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. તો આજે આ યજ્ઞશાળામાં લીંપણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇ સમગ્ર જિલ્લામાંથી ચૌધરી -આજણા પટેલ સમાજની હજારો મહિલાઓ લાલાવાડા ખાતે એકત્ર થઈ અને ઢોલ નગારા સાથે નાચગાન સાથે જાણે પોતાના ઘરે પ્રસંગ આવ્યો હોય, તેમ યજ્ઞશાળામાં દેશી ગાયના છાણથી યજ્ઞ શાળામાં લીંપળ કરી શ્રમદાન કર્યું હતું. મહત્વની વાત છે કે 3 જી ફેબ્રુઆરીથી શરૂ થનાર આ સહસ્ત્ર ચંડી મહા યજ્ઞમાં દેશ વિદેશમાંથી ચારે વેદોના જ્ઞાની ભૂદેવો અહીં આવશે અને 108 યજમાનોને યજ્ઞમાં આહુતિ અપાવશે.
જોકે આ યજ્ઞમાં ફક્ત બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ વિદેશમાં વસતા ચૌધરી -આંજણા સમાજના લોકો સહિત અન્ય સમાજના લાખો લોકો આ યજ્ઞમાં દર્શનાર્થે પહોંચશે. જેને લઇ કોઈપણ દર્શનાર્થીને કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓથી મંડળ સજજ બની રહ્યું છે. લાલાવાડા ખાતે યોજાનાર યજ્ઞમાં આવનારા લાખો લોકોને પાર્કિંગની સુવિધા તેમજ ભોજનની સુવિધા માટે આસપાસના વિસ્તારની 250 એકરથી વધુ જમીનમા ખેડૂતોએ શિયાળા પાકનું વાવેતર નથી કર્યું. પરંતુ આ જમીન મહોત્સવમા ઉપયોગ કરવા અર્પણ કરી દીધી છે, તો સાથે સાથે મહોત્સવમાં આવનારા લાખો લોકોને રહેવા જમવાની પણ સુવિધાથી અત્યારે મંડળ સજ્જ બની રહ્યું છે.


