►મુખ્યમંત્રીના હસ્તે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2024ની પ્રમોશનલ ઇવેન્ટનો શુભારંભ
► રાજકોટમાં 200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરવાની જાહેરાત કરતા પ્રમુખ ગગજીભાઇ સુતરીયા, સંપૂર્ણ સહયોગની સરકારની ખાતરી
ગરવી તાકાત, રાજકોટ તા. 06- રાજકોટમાં સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ-2024 યોજાનાર હોય જેની તૈયારી રૂપે આજે શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત રહી હતી. મુખ્યમંત્રી સરદારધામના સ્થાપક ટ્રસ્ટી પણ છે. રાજકોટના કાલાવડ રોડ પર રેજન્સી લગૂન રીસોર્ટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અગ્રણીઓ અને સામાજિક આગેવાનોને મુખ્યમંત્રીએ સંબોધિત કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર વ્યાપારિક ક્ષેત્ર અને ઉદ્યોગક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ છે. 
તે અંગેનું રૂપરેખાનું વર્ણન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2024ની પ્રમોશનલ ઇવેન્ટનો આજે રાજકોટ ખાતેથી શુભારંભ થયો હતો. પાટીદાર સમાજને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજ ગુજરાતની પ્રગતિનું પાવર હાઉસ છે, જે રાજ્યના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે. રાજકોટ ખાતે યોજાયેલી આ બિઝનેસ સમિટ સરકાર અને સમાજની સહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું હતું કે ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’માં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રસ્થાને છે, ત્યારે ચાલુ વર્ષના બજેટમાં રાજ્યના ઉદ્યોગો માટે રૂ. 8589 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત દરેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે.
2026માં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં અમેરિકા ખાતે પાટીદારોની સમિટ: યહુદીઓની બરાબરી કરવાનો સંકલ્પ
સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ જણાવેલ કે, સરદારધામ ખુબ જ ઝડપતી પોતાના હેતુઓ પર કામ કરી રહ્યું છે વેપાર, ઉદ્યોગ, રોજગારી, નોકરી આ હેતુઓ ઉપર જ કામ થઈ રહ્યું છે. 10 હજાર કરોડના ખર્ચે સરદારધામનું સ્વપ્ન સરકાર કરવા સંસ્થા આગળ વધી રહી છે. સરદાર સાહેબના વ્યકિત નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્ર સાથે સંસ્થા કામ કરી રહી છે. 10 હજાર દીકરા-દીકરીઓને સરકારી પદો પર નોકરી અપાવવી તે સંકલ્પ છે. જેમાંથી 2700થી વધુ દીકરા-દીકરીઓ ગવર્મેન્ટ પરિક્ષામાં પાસ થઈ ચુકયા છે. 2024માં રાજકોટમાં સમિટ બાદ વર્ષ 2026માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અને ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે અમેરિકામાં પાટીદારોની સમિટ મળશે. 84 લાખ વસ્તી ધરાવતો યહુદી સમાજ અમેરિકાને પણ કંટ્રોલ કરી રહ્યો છે ત્યારે પાટીદારો પણ યહુદીઓની બરાબરી કરે તેવો સંકલ્પ છે.


